સુરતના બિલ્ડરની આત્મહત્યાઃ આર્થિક તંગીથી હતા પરેશાન?

સુરતઃ સુરતમાં એક ટોચના બિલ્ડરે કથિત રુપથી આત્મહત્યા કર્યાનું બહાર આવતાં શહેરમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં ચકચાર મચી ગઇ છે. આ બિલ્ડર હરેશ સાવજી રવાણી હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હરેશે કામરેજ સ્થિત પોતાના ફાર્મ હાઉસમાં ફાંસી ખાઇને આત્મહત્યા કરી છે હરેશના પરિવારજનોનું કહેવું છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતા. જો કે અટકળો એવી પણ છે કે આર્થિક તંગીના કારણે રવાણીએ આત્મહત્યા કરી છે.રવાણી ડેવલપર ગ્રુપના સંસ્થાપક 46 વર્ષીય હરેશ રવાણી શહેરના ટોપ 5 બિલ્ડરોમાં સ્થાન ધરાવે છે. આ ગ્રપે શહેરમાં ઘણી મોટી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પરિયોજનાઓનું નિર્માણ કર્યું છે. રવાણીના નાના ભાઈ વિનોદે પોલીસને જણાવ્યું કે અચાનક બ્લડ પ્રેશર ખૂબ ઓછું થઈ જવાથી 20 દિવસ પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હરેશભાઇને પરિવારમાં પત્ની અને બે બાળકો છે.

સોમવારે સવારે 10 વાગ્યે કોઈ સાઈટ પર જવા માટે ઓફિસથી તેઓ નિકળ્યા હતા. બપોરે આશરે 12.30 વાગ્યે રવાણીના ભાઈ વિનોદે તેમને ફોન પર જણાવ્યું કે સાંજે 4 વાગે ડોક્ટરને બતાવવાનું છે. તમે તૈયાર રહેજો. હરેશાભાઇએ જવાબમાં વિનોદને કહ્યું પણ હતું કે તેમને યાદ છે અને તેઓ હોસ્પિટલ સમયે પહોંચી જશે.

બીજી બાજુ વિનોદ જ્યારે વેસુ સ્થિત સાઈટ પર પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે ત્યાં રવાણી આવ્યા તો હતા, પરંતુ જલ્દી જ નિકળી ગયા હતા. રવાણીનો પરિવાર જાણતો હતો કે સાઈટ પરથી નિકળ્યા બાદ તેઓ આરામ કરવા માટે પોતાના ફાર્મહાઉસ પર જ જાય છે. ત્યારબાદ વિનોદ ફાર્મ હાઉસ ગયા. ફાર્મ હાઉસ પહોંચે તે પહેલા જ રસ્તા પર ફાર્મહાઉસના એક કર્મચારીએ જાણકારી આપી કે તેઓએ પંખે લટકીને આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર મળતા જ આખો પરિવાર શોકગ્રસ્ત બની ગયો હતો.