કોરોનાના સક્રિય કેસોમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્ય અને દેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોના વાઇરસના વધુ બે કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.  

કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબહેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.

અમદાવાદમાં એક્ટિવ કેસ 35 પર પહોંચ્યા. બોડકદેવ, નારણપુરા, ખાડિયા અને દરિયાપુરમાં નોંધાયા કોરોનાના કેસ. બે દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી બેંગલુરુની હોવાની માહિતી. હાલ બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ તો 33 લોકો હોમ આઇસોલેટ થયા છે.દેશમાં એક્ટિવ કોરોના વાઇરસ કેસ 4100ને વટાવી ગયા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી, જ્યારે કુલ મૃત્યુઆંક 5.33 લાખ પર પહોંચ્યો હતો. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ JN.1ના કુલ 66 દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે.