દંડ-વ્યાજ માફી યોજના, પણ આ તારીખ સુધી પ્રોફેશનલ ટેક્સ ભરનારાંને લાભ…

ગાંધીનગર-ગુજરાત સરકારે એક મહત્ત્વની બાબતે દંડ-વ્યાજમુક્તિ માફી યોજના જાહેર કરી હતી. રાજ્યમાં ગ્રામ પંચાયતથી લઇને નગરપાલિકા-મહાપાલિકા કાર્યક્ષેત્રમાં આવતા વ્યવસાયવેરો – પ્રોફેશનલ ટેક્સ ભરતાં વ્યવસાયીઓ, એમ્પ્લોયરોએ ભરવાપાત્ર વ્યવસાય વેરાની બાકી રકમ તા. ૩૧ ઓગસ્ટ-ર૦૧૯ સુધીમાં ભરપાઇ કરે તો દંડ અને વ્યાજમાંથી મુકિત આપતી માફી યોજના જાહેર કરી છે.

રાજ્ય સરકારના નાણાંવિભાગે આ સંદર્ભમાં તા. ર૮ મે – ર૦૧૯ના જારી કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે, ઘણાં વ્યવસાયીઓ / નોકરીદાતાઓ વ્યવસાયવેરો ભરવાને પાત્ર હોય તેમ છતાં વ્યવસાય વેરાના ટેકસ નેટમાં લાવવાના બાકી રહી ગયેલ છે. જેમાં નાના કારખાનેદારો અને નાના પાયે ધંધો કરનારાઓ, નોકરીદાતાઓ, વગેરે સમાવેશ થાય છે. આવા વ્યવસાયીઓ વ્યવસાયવેરા કાયદાની જોગવાઇઓનું પાલન કરવા અને પોતાની ચૂક સુધારવા ઇચ્છા ધરાવતા હોવા છતાં કાયદાની દંડકીય જોગવાઇઓ અને પ્રોસીકયુશનના ભયથી પોતાની ચૂક સુધારવા આગળ આવતાં નથી.
આથી આવા વ્યવસાયીઓ કાયદા ભંગમાંથી બહાર આવે અને ચૂક સુધારી લેવાની તક તેમને આપવામાં આવે તો રાજ્ય સરકારને વ્યવસાય વેરાની આવક પ્રાપ્ત થાય, અને આ વ્યવસાયીઓની હાલનાં કાયદાના દંડની દહેશત / ગુનાહિત બોજા હેઠળ રહેવું પડે છે, તેમાંથી મુકત થવાની તક મળે. તે આશયથી આ નિર્ણય કરવામાં આવ્યો છે.
તદ્દઅનુસાર, કરદાતા કે જેઓને વેરો ભરવો છે પરંતુ નોંધણી નંબર મેળવેલ નથી કે નોંધણી નંબર મેળવેલ છે પણ વેરો ભરેલ નથી તેમજ વેરો ઉઘરાવેલ છે પરંતુ સરકારમાં જમા કરાવેલ નથી, તેમને માટે આ રાહત યોજનામાં અમલમાં મુકવામાં આવી છે.

આ યોજના અંતર્ગત વ્યવસાય કરતી વ્યકિત કે સંસ્થાઓ જેઓ વ્યવસાય વેરા નંબર મેળવવાને પાત્ર થાય છે પરંતુ વ્યવસાય વેરા એનરોલમેન્ટ નંબર ધરાવતા નથી. તેઓ તા. ૧-૬-ર૦૧૯ થી તા.૩૧-૮-ર૦૧૯ સુધીના સમય દરમ્યાન વ્યવસાય વેરા નંબર મેળવવા અરજી કરે અને તે સમય દરમ્યાન નિયત દરે ભરવાપાત્ર રકમ સરકારમાં ભરે તેને તરત જ એનરોલમેન્ટ પ્રમાણપત્ર આપવામાં આવશે અને દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.
જે વ્યવસાયીઓ વ્યવસાય વેરા કાયદા હેઠળ એનરોલમેન્ટ પ્રમાણપત્ર ધરાવે છે પરંતુ કોઇ કારણોસર વ્યવસાય વેરો ભર્યો નથી તેવા વેરાના કસૂરદારો જેટલા વર્ષનો વ્યવસાય વેરો બાકી હોય તેટલા વર્ષની વ્યવસાય વેરાની રકમ નિયત દરે ભરી નિયત નમૂનામાં અરજી કરે તો આકારવાપાત્ર વ્યાજમાંથી મુકિત આપવામાં આવશે.

બિન નોંધાયેલા નિયોકતાઓ (એમ્પ્લોયર) માટે માફી યોજના અન્વયે કામે રાખનાર (નિયોકતા) કે જેઓએ વ્યવસાય વેરા હેઠળ નોંધણી દાખલો મેળવેલ નથી અને વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ નથી તેમજ સરકારમાં જમા કરાવેલ નથી તેઓ તા.૧-૬-ર૦૧૯ થી તા.૩૧-૮-ર૦૧૯ના સમય દરમ્યાન રજિસ્ટ્રેશન મેળવવા અરજી કરે અને નિયત દરે ભરવાપાત્ર રકમ સરકારમાં ભરે તેને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેઓને દંડકીય અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.

જે એમ્પ્લોયરે તેમના વેતનદારો પાસેથી વ્યવસાય વેરો ઉઘરાવેલ હોય પરંતુ સરકારમાં જમા કરાવેલ ન હોય તેવા કામે રાખનાર ઉઘરાવેલ વ્યવસાય વેરોની રકમ અને ઉપરાંત માસિક ૧.પ ટકા લેખે વ્યાજની રકમ સરકારમાં ચલનથી અથવા ચેક / ડ્રાફટથી ભરે તો તેઓને દંડકીય કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે અને જરૂરી પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ યોજના તા. ૧-૬-ર૦૧૯ થી તા. ૩૧-૮-ર૦૧૯ દરમિયાન અમલમાં રહેવાની છે. આ યોજના ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધો અને રોજગાર વેરા અધિનિયમ, ૧૯૭૬ અંતર્ગત નિર્દિષ્ટ કરવામાં આવેલ તમામ ડેઝીગ્નેટેડ ઓથોરિટીને લાગુ પડશે. એમ પણ નાણાંવિભાગના ઠરાવમાં જણાવવામાં આવ્યું છે.