ગોધરા કાંડનો નાણાવટી-મહેતા પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ

ગાંધીનગર :વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડનો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા. 17 વર્ષ બાદ આજે ગુજરાત વિધાનસભામાં ગોધરાકાંડ પાર્ટ-2નો રિપોર્ટ રજૂ કરાયો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચનો આ રિપોર્ટ આજે 17 વર્ષ બાદ રજૂ થયો છે, આ રિપોર્ટમાં તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સદસ્યોને ક્લીનચીટ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ અધિકારીઓ આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની ભૂમિકા નકારાત્મક હોવાની અને તેમની સામે ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ગૃહમાં ગોધરાકાંડનો રિપોર્ટ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કેગનો રિપોર્ટ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કર્યો હતો. ત્યારે રિપોર્ટ વિશે ગૃહરાજ્યમંત્રીએ મીડિયાને જણાવ્યું કે, આ રિપોર્ટમાં આખેઆખું ગોધરાકાંડ ટ્રેનને આગ લગાડવાનું પ્રૂવયોજિત પ્લાનિંગ હતું, તેવો સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો હતો. આ ઘટના બાદ નરેન્દ્ર મોદી અને તેમના સભ્યોને બદનામ કરવાના કારસા રચવામાં આવ્યા હતા. ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં થયેલા તોફાનો કોઈ પૂર્વઆયોજિત કાવતરું ન હતું, તે સમયના તત્કાલીન મુમ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની કેબિનેટના સાથીઓને ક્લીનચીટ અપાઈ છે. ગોધારાકંડમાં રાજકીય નેતાઓ અને પોલીસ અધિકારીઓને કોઈ સંડોવણી નથી. પૂર્વ મંત્રી હરેન પંડ્યા, ભરત બારોટ, અશોક ભટ્ટના સંદર્ભમાં જે આક્ષેપ કરાયા હતા તેઓને પણ ક્લીનચીટ અપાઈ છે. તાપસ પંચના તારણો, ત્રણ પોલીસ ઉચ્ચ અધિકારઈઓની ભૂમિકા નકારાત્મક ગણાઈ છે. પાર્ટ-2 રિપોર્ટના આધારે લોકોમાં જે શંકા-કુશંકા અને ગુજરાતની સરકારને બદનામ કરાવના કારનામા હતા, તે નાણાવટી પંચના રિપોર્ટ દ્વારા તેનો પર્દાફાશ થાય છે.

નાણાવટી કમિશન દ્વારા જે રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, તેમાં તે સમયના ત્રણ અધિકારીઓની નકારાત્મક ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં આર.બી શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટની નકારાત્મક ભૂમિકા હોવાનું અને તેમની સામે ડિપાર્ટમેન્ટ લેવલની કાર્યવાહી કરવાનો ઉલ્લેખ કરાયો છે.

રિપોર્ટમાં કહેવાયું કે, નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસની ચાલ હતી. નરોડા પાટીયાકાંડમાં ઉશ્કેરણી કરાઈ હતી. મોદી ટ્રેનમાં પુરાવાના નાશ કરવા ગયા તે આરોપ ખોટા છે. ભારત અને વિશ્વભરમાં નરેન્દ્ર મોદીને બદનામ કરવાની કોંગ્રેસ અને એનજીઓના બદઈરાદાનો પર્દાફાશ કરાયો છે.

નાણવટી પંચનો પાર્ટ-2 આજે વિધાનસભાના મેજ પર મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટના 9 વોલ્યુમ છે. તેમાં 2500થી વધુ પાના છે. 44445 જેટલી એફિડેવિટનો સાર છે. 18 હજાર જેટલી એફિડેવિટ જુદી રાહત અન્ય વસ્તુઓની છે. 488 સરકારી અધિકારીઓના સોગંધનામા બાદ જે રિપોર્ટ આપ્યો છે તે વિધાનસભામાં મૂકાયો છે.