રસ્તાઓનાં રિસર્ફેસિંગ કામો માટે રૂ. પ૦૮.૬૪ કરોડની ફાળવણી

અમદાવાદઃ રાજ્યમાં નાગરિકો સુવિધાયુકત, સલામત અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવા ઉદાત્ત અભિગમથી મુખ્ય મંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યના માર્ગોના રિસર્ફેસિંગ કામો માટે રૂ. પ૦૮.૬૪ કરોડ માર્ગ-મકાન વિભાગને ફાળવવાની મંજૂરી આપી છે. રાજ્યમાં આ વર્ષે વરસાદને કારણે અસર થયેલા ૯૮ રસ્તાઓના કુલ ૭પ૬ કિમી લંબાઈમાં રિસરફેસિંગ કામો મુખ્ય મંત્રીએ માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે.

રાજ્ય સરકારમાં  વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતિએ કુલ પ૭૯૦ કિ.મી લંબાઈના માર્ગોના અંદાજે રૂ. પ૯૮૬ કરોડનાં કામો પ્રગતિમાં છે.

એટલું જ નહિ, ર૭૬૩ કિ.મી લંબાઈના માર્ગો માટે રૂ. ૧૭૬ર કરોડનાં કામો ટેન્ડરિંગ પ્રક્રિયા હેઠળ છે, જે ટૂંક સમયમાં શરૂ થવાના છે. મુખ્ય મંત્રીએ રાજ્યના માર્ગોના નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ સુદ્રઢ તેમ જ સંગીન કરવા માર્ગ-મકાન વિભાગને આપેલા દિશા-નિર્દેશોને પગલે આ કામગીરી વેગવાન બનાવવામાં આવી છે.