સિવિલમાં બ્રેઇન-ડેડ વ્યક્તિનાં અંગદાન થકી પાંચને જીવતદાન

સાબરકાંઠાઃ તલોદમાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળપણથી જ મેહુલભાઈના જીવનમાં ઘણો સંઘર્ષ હતો. આકરી મહેનત કરીને તે પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મેહુલભાઈની હજુ 12 ડિસેમ્બરે જ સગાઈ થઈ હતી, પરંતુ વિધાતાએ મેહુલભાઈનું ભાવિ કંઈ અલગ જ લખ્યું હતું.

મેહુલભાઈને 13 ડિસેમ્બરે તલોદ રોડ પર અકસ્માત થતાં સારવારાર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરી દેવામાં આવ્યો હતો. મેહુલભાઈને બ્રેઇન-ડેડ જાહેર કરવામાં આવતાં સિવિલ હોસ્પિટલની SOTTO  (State Organ Tissue Transplant Organisation)ની ટીમ દ્વારા તેના પરિવારજનોને અંગદાન વિશે વિગતવાર સમજણ આપી હતી, જેથી મેહુલની ત્રણ બહેનો સહિત પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇન-ડેડ થયેલા મેહુલભાઈના અંગદાન થકી હૃદય, લિવર, સ્વાદુપિંડ અને બંને કિડનીનાં દાન મળ્યાં. જે જરૂરિયાતમંદ દર્દીમાં ટૂંક સમયમાં જ પ્રત્યારોપણ કરવામાં આવશે. મેહુલનાં અંગોના દાન થકી અન્ય પાંચ વ્યક્તિઓને જીવતદાન મળશે.

ડો. રાકેશ જોષી અંગદાન વિશેની વિગતો આપતાં કહ્યું હતું કે  સિવિલ હોસ્પિટલને રિટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના 355 દિવસમાં હોસ્પિટલમાં 24 વ્યક્તિઓના અંગદાનમાં સફળતા મળી છે. અત્યાર સુધીમાં 24 વ્યક્તિઓનાં 81 અંગોના દાન થકી 68 વ્યક્તિઓને નવજીવનન મળ્યું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દિવસ-રાત નિષ્ઠાપૂર્વક અંગદાનની જાગ્રતતા અને સફળતા માટે કામગીરી કરી રહી છે. જેના પરિણામે આજે શહેર અને રાજ્યમાં અંગદાનની પ્રવૃતિએ વેગ પકડ્યો છે. અંગદાન થકી જરૂરિયાતમંદ દર્દીનો જીવન સુધારો થઈ રહ્યો છે. આજે બ્રેઇન-ડેડ થતા વ્યક્તિના પરિવારજનો પણ અંગદાનનું મહત્વ સમજીને અંગદાન એ જ મહાદાનની પરિકલ્પનાને સાકાર કરી રહ્યા છે.