રાજ્યમાં પાંચ-દિવસ વરસાદની આગાહીઃ 35 તાલુકામાં વરસાદ

અમદાવાદઃ હવામાન ખાતા દ્વારા આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ ઉપરાંત સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રમાં ભાવનગર તથા અમરેલીમાં વરસાદ પડશે. આ ઉપરાંત સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામા આવી છે. આ ઉપરાંત હાલમાં આવેલા વાવાઝોડાની કોઈ અસર ચોમાસા પર નથી થઈ, એમ વિભાગે કહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના 11 જિલ્લાના 35 તાલુકામાં સામાન્ય અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વસરાદ બનાસકાંઠાના દાંતામાં અઢી ઇંચ વરસાદ થયો છે. આ સાથે ડાંગના વઘઈ અને સાપુતારા તથા વલસાડમાં તોફાની પવન વીજળીના ચમકારા સાથે વરસાદ પડ્યો હતો. ડાંગ સાથે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં વરસાદ પડયો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે  નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થયું છે. સવારે ચોમાસું કેરળના તટ પર પહોંચ્યું હતું. આ વખતે ચોમાસુ નિયત સમય કરતાં ત્રણ દિવસ મોડું આવ્યું છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે જૂન થી સપ્ટેમ્બર મહિના દરમિયાન પંજાબ,હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનના કેટલાક હિસ્સામાં 108 ટકા સુધી વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ભારતમાં કેરલ, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ , ગોવા અને ઓરિસ્સામાં 93 થી 107 ટકા વરસાદની શક્યતા છે.