વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મળતી માહિતી મુજબ સોળસુંબા ગામે બે વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી પતિએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતાં જ ઉંમરગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે.
સામૂહિક આપઘાત અંગે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે આ પરિવાર ફ્લેટમાં ભાડે રહેતા હતા. પાડોશી દ્વારા લાંબા સમય સુધી દરવાજો ખખડાવામાં આવ્યો હતો, જોકે કોઈએ પણ દરવાજો ખોલ્યો હતો. જે બાદ અંતે દરવાજો તોડવામાં આવ્યો. દરવાજો તૂટતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા તો બાળક અને પત્ની બેડ પર મૃતક હાલતમાં સુતેલા જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ થતાની સાથે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ઘટનાસ્થળે ઉમરગામ પોલીસ સાથે ડી.વાય.એસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે દંપતીએ પહેલા પોતાના માસૂમ બાળકની હત્યા કરી અને પછી પોતાનુ જીવન ટૂંકાવી લીધું. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારના આપઘાતના કારણો અંગે તપાસ ચાલી રહી છે. જોકે મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે. ઉમરગામ પોલીસે ત્રણેયની લાશનો કબજો મેળવી સીસીટીવી ફૂટેજના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
