અંબાજી મેળામાં લાખો દર્શનાર્થીઓ માટે તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ

પાલનપુરઃ અંબાજીમાં આજથી આનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણકુમાર બરનવાલને હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનો વિધિવત્ પ્રારંભ કરવામાં આવ્યો હતો. 23થી 29 સપ્ટેમ્બરમાં યોજાઈ રહેલા આ મહામેળાનો કલેક્ટરે શ્રીફળ વધેરી પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે ઉપસ્થિત પદયાત્રિકોએ માતાજીના ગગનચુંબી જયઘોષ કર્યા હતા.

કલેક્ટર સહિત મહાનુભાવોએ સેવા કેમ્પમાં શાસ્ત્રોક્ત રીતે ભક્તિભાવથી માતાજીની પૂજા-અર્ચના કરી  અંબાજીની યાત્રા સુખરૂપ નીવડે એ માટે માતાજીને પ્રાર્થના કરી હતી.  આ પ્રસંગે માહિતી આપતાં કલેકટરે જણાવ્યું હતું કે ભાદરવી પૂનમનો મેળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવવાની ધારણાને લઇને તંત્ર દ્વારા વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ મેળામાં આવતા લાખો યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી રહે એ માટે ત્રણ જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અંતર્ગત દિવાળી બા ભવન, ગબ્બર તળેટી અને અંબિકા ભોજનલયમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી, ગબ્બર અને રસ્તાઓ ઉપર વિસામો, આરોગ્ય, વીજળી, પીવાનું પાણી, સુરક્ષા, પરિવહન અને પાર્કિંગ સહિત તમામ વ્યવસ્થાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ બનાવાઇ હોવાનું તેમણે જણાવ્યુ હતું.

ભાદરવી મેળો શરૂ થતાં અંબાજી તરફના તમામ રસ્તાઓ રાત- દિવસ યાત્રિકોથી ભરચક રહેશે. રસ્તાઓ ઉપર વિવિધ સેવા કેન્દ્રોની સુવિધા અને સ્વંયસેવકો, સંચાલકોની કામગીરી સરાહનીય છે. ભાદરવી મહામેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, ઇ. ચા. પોલીસ અધિક્ષક તેજસ પટેલ, મદદનીશ કલેકટર સ્વપ્નિલ સિસલે અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સિદ્ધિબેન વર્મા સહિત અધિકારીઓ અને હજારો માઇભક્તો ઉપસ્થિત રહ્યા હતા.