ડોનેટ લાઇફે બાળકનાં અંગ-દાન કરી છ-વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

સુરતઃ સુરતના રામપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા, કતારગામ મુકામે રહેતો અને બ્રિલિયન્ટ વિદ્યાલયમાં ધોરણ ૧૦મા અભ્યાસ કરતો ૧૪ વર્ષીય ધાર્મિકને બુધવાર ૨૭-૧૦-૨૦૨૧એ ઊલટીઓ થતાં તેમ જ બ્લડપ્રેશર વધી જવાને કારણે કિરણ હોસ્પિટલમાં ન્યુરોફિજિશિયન ડો. હીના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. તેને નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું અને સોજો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડો.ભૌમિક ઠાકોરે ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો અને સોજો દૂર કર્યો હતો. એ પછી શુક્રવારે  2૯ ઓક્ટોબરે કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ ધાર્મિકને બ્રેઇન-ડેડ જાહેર કરતાં ડોનેટ લાઇફની ટીમે હોસ્પિટલ પહોંચી ધાર્મિકના પરિવારજનોને અંગદાનનું મહત્ત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

ધાર્મિક અજયભાઈ કાકડિયાનાં અંગોના દાન કરી છ વ્યક્તિઓને નવજીવન

ધાર્મિકનાં માતા-પિતા લલિતાબહેન અને અજયભાઈએ જણાવ્યું હતું કે અમારા બાળકને છેલ્લાં પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી અને છેલ્લા એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ડાયાલિસિસની પીડા શું હોય એ અમે સારી રીતે જાણીએ છીએ. ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી. આજે જ્યારે અમારો ધાર્મિક બ્રેઇન-ડેડ છે ત્યારે તેનાં અંગોના દાન થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

૧૪ વર્ષના બ્રેઇન-ડેડ બાળકના બંને હાથોનું દાન

પરિવારજનો તરફથી લીવર, હૃદય, ફેફસાં અને આંતરડાના દાનની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ નીલેશ માંડલેવાલાએ પરિવારજનોને સમજાવતાં જણાવ્યું હતું કે દેશમાં ઘણી બધી વ્યક્તિઓના હાથ અકસ્માતે કપાઈ જાય છે અને તેમને સામાન્ય જીવન જીવવામાં ખુબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. જો તમે તમારા વહાલસોયા દીકરાના હાથોનું દાન કરવાની મંજૂરી આપો તો કોઈકને હાથ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવું જીવન મળી શકે. ત્યારે પરિવારજનોએ એકઅવાજે પોતાના હૃદય ઉપર પથ્થર મૂકીને દિલના ટુકડા એવા પોતાના વહાલસોયા બાળકના હાથનું દાન કરવાની મંજૂરી આપતાં જણાવ્યું હતું કે શરીર બળીને રાખ જ થઈ જવાનું છે ત્યારે અમારા બાળકના જેટલાં પણ અંગો જરૂરિયાતમંદ દર્દીઓને કામ લાગી શકે એ બધાં જ અંગોનું દાન કરાવો.

SOTTO દ્વારા લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, હૃદય અમદાવાદની સિમ્સ હોસ્પિટલને, ROTTO દ્વારા હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલને, NOTTO દ્વારા ફેફસાં ચેન્નાઈની MGM હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. NOTTO દ્વારા આંતરડાંના ટ્રાન્સપ્લાન્ટ માટે દેશભરમાં એલર્ટ મૂકવામાં આવ્યું હતું, પરંતુ દેશામાં B+ve બ્લડગ્રુપના ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી ન હોવાથી આંતરડાનું દાન થઇ શક્યું નહોતું.

સુરતની કિરણ હોસ્પિટલથી મુંબઈનું ૨૯૨ કિ.મીનું અંતર ૧૦૫ મિનિટમાં કાપીને ધાર્મિકના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ પુણેના રહેવાસીમાં ડો. નીલેશ સતભાયા અને તેમની ટીમ દ્વારા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ  વ્યક્તિને ત્રણ વર્ષ પહેલાં વીજ કરંટ લગવાને કારણે તેના બંને હાથ-પગ કપાઈ ગયા હતા, તે પૂનામાં એક કંપનીમાં કલેરીકલ વિભાગમાં ફરજ બજાવતો હતો. તેના પરિવારમાં પત્ની અને બે બાળકો છે. મુંબઈમાં હાથનું આ ચોથું ટ્રાન્સપ્લાન્ટ છે.

હાથોનું દાન કરવાની દેશની આ સૌપ્રથમ ઘટના

દેશમાં સૌપ્રથમ વખત ૨૦૧૫માં કોચીમાં અમૃતા હોસ્પિટલમાં હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સુરતથી ડોનેટ લાઇફના માધ્યમથી દાન કરવામાં આવેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ દેશનું ૧૯મું હાથનું ટ્રાન્સપ્લાન્ટ છે. પરંતુ સૌથી નાની ઉમરના એટલે કે ૧૪ વર્ષના બાળકના હાથોનું દાન કરવામાં આવ્યું હોય તેવી દેશની આ સૌપ્રથમ ઘટના છે. તદુપરાંત ફીસ્યુલાવાળા હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવી પણ દેશની સૌપ્રથમ ઘટના છે.

દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ પાટણના રહેવાસી ૩૫ વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ આંધ્રપ્રદેશના ૪૪ વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ જૂનાગઢના રહેવાસી ધોરણ ૧૧મા આભ્યાસ કરતા ૧૫ વર્ષીય વિદ્યાર્થીમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. આ યુવકને છેલ્લા દોઢ વર્ષથી હૃદયની તકલીફ હતી અને તેના હૃદયનું પમ્પિંગ ૧૦થી ૧૫ ટકા જેટલું હતું. આંખોનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું.

 સુરતમાંથી હ્રદયના દાનની 37મી અને ફેફસાંના દાનની 11મી ઘટના

ગુજરાતમાંથી હૃદયદાનની પચાસમી અને ફેફસાંના દાનની તેરમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઇફ દ્વારા સાડત્રીસ હૃદય-દાન અને ૧૧ જોડ ફેફસાં દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઇફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલાં હૃદય અને ફેફસાં દેશનાં જુદાં-જુદાં શહેરો જેવાં કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લુરુ, કોલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવાં શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં છે. દેશમાં સૌપ્રથમ વખત ડોનેટ લાઇફ દ્વારા સૌથી નાની ઉંમરના એટલે કે ૧૪ વર્ષના બ્રેઇન-ડેડ બાળકના બંને હાથોનું દાન કરાવવામાં આવ્યું છે. તદુપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યાં હતાં.

સુરત પોલીસે ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા

હાથ, હ્રદય અને ફેફસાં સમયસર મુંબઈ, ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક જ દિવસમાં સુરત પોલીસ અને ગુજરાત પોલીસના સહયોગથી ત્રણ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા હતા.

સુરત બની રહ્યું છે ઓર્ગન ડોનર સિટી

ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯ના રોગચાળા પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ત્યારે ડોનેટ લાઇફ દ્વારા આ સમયમાં ૪૮ કિડની, ૨૮ લિવર, ૧૧ હૃદય, ૧૮ ફેફસાં, ૧ પેન્ક્રિયાસ અને ૪૮ ચક્ષુઓ સહિત ૧૫૪ અંગો અને ટિસ્યુઓ તેમ જ બે હાથના દાન મેળવી દેશ અને વિદેશનાં કુલ ૧૪૧ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઇફ દ્વારા ૪૦૮ કિડની, ૧૭૩ લિવર, ૮ પેન્ક્રિયાસ, ૩૭ હૃદય, ૨૨ ફેફસાં અને ૩૧૨ ચક્ષુઓ સહિત કુલ ૯૬૦ અંગો અને ટીસ્યુઓ તેમજ બે હાથનું દાન મેળવીને ૮૭૯ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

ફયસલ બકીલી (સુરત)