જળતાંડવ બાદ વડોદરામાં મગરનો આતંક, સાત દિવસમાં 42 મગરનું કરાયું રેસ્ક્યુ

વડોદરા સહિત ગુજરાતમાં થોડા દિવસો પહેલા મેધ તાંડવ જોવા મળ્યું હતું. જ્યાં શહેરની વિશ્વામિત્રી નદીમાં ભયાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાય હતી. નદીના પાણી લોકોના ઘરોમાં ઘૂસ્યા હતા. ભારે વરસાદને પગલે વડોદરાનું જન જીવન અસ્થવ્યસ્થ જોવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે નદીના પાણીમાં વહીને કેટલીક મગરો શહેરના વિસ્તારમાં ઘૂસી આવી હતી.

મળતી માહિતી અનુસાર વડોદરા શહેરમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા છેલ્લા સાત દિવસમાં 42 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. નોંધનીય છે કે હાલ સુધી પણ શહેર કેટલાક વિસ્તારમાં મગરો દેખાવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, એટલે કે રેસ્ક્યુ કરેલા મગરનો આંક વધશે. એક ગણતરી અનુસાર વિશ્વામિત્રીમાં આશરે 300 મગર છે. જેમાંથી કેટલાક નદીના પૂરની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. પરંતુ જેમ પાણી નીચે ઉતરતા ગયા તેમ મગરો દેખાતા ગયા. લોકો પણ વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ અને વન વિભાગનો સંપર્ક કરી મગરોનું રેસ્ક્યુ કરાવે છે. આ વખતે મગરો 15 ફૂટ સુધી લંબાઈ ધરાવતા જોવા મળ્યા છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં મગર પ્રવેશ્યા હોય અને ફરતા હોય તેવા વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે મગરની સાથે-સાથે સાપ સહિતના સરીસૃપો પણ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.