તટરક્ષક દળનું શિવરાજપુર બીચમાં સ્વચ્છતા કવાયતનું આયોજન

 અમદાવાદઃ તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર-15 (ઉત્તર ગુજરાત) દ્વારા “સ્વચ્છ સમુદ્ર, સુરક્ષિત સમુદ્ર”ના સૂત્ર સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES)ના સંકલનમાં દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચમાં 21 મેએ સમુદ્રતટીય સ્વચ્છતા કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કવાયતના આયોજન પાછળ જનભાગીદારી અને સમુદ્રી પ્રદૂષણ નિવારણ તેમ જ સ્વસ્થ મહાસાગરો માટે ટકાઉક્ષમ જીવનશૈલી અપનાવવા અંગે જનજાગૃતિને પ્રોત્સાહન આપવાનો હેતુ પણ હતો.

ઓખાસ્થિત તમામ ફ્લોટિંગ અને સમુદ્રકાંઠાના એકમોમાં કાર્યરત ભારતીય તટરક્ષક દળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ટાટા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, મીઠાપુર અને મહિલા વિકાસ મંડળ, રાજકોટના પ્રતિનિધિઓ સાથે મળીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આ કવાયત દરમિયાન અંદાજે 950 કિલો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને વધુ નિકાલ માટે દ્વારકાની નગરપાલિકાને સોંપવામાં આવ્યો હતો. ICG “સ્વચ્છ ભારત અભિયાન” પ્રત્યે પ્રતિબદ્ધ છે, જેનો ઉદ્દેશ સમુદ્રકિનારાને સુઘડ અને સ્વચ્છ રાખવા અને સમુદ્રી પર્યાવરણને પ્રદૂષિત ટાળવા માટે સ્થાનિક લોકોને શિક્ષિત અને પ્રેરિત કરવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓમાં 250 કર્મચારીઓની અસરકારક સહભાગિતા જોવા મળી હતી, જેનાથી આ પ્રદેશમાં હિતધારકો વચ્ચે સહયોગ વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા હતા.