ખ્યાતિકાંડ: ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય, બે ડોક્ટરોના લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ

અમદાવાદ: ગુજરાતનો ચકચારીત ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં સંડોવાયેલા 2 ડોક્ટરોના આખરે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડો.સંજય પટોલિયાનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે તો PMJAYના ડો.શૈલેષ આનંદનું પણ લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયું છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા બંને ડોક્ટરોના લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પોન્ડ કર્યા છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ડો.પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ સસ્પેન્ડ થયું હતું. તો મહત્વનું છે કે 3 વર્ષમાં ખ્યાતિકાંડમાં 112 દર્દીઓના થયા છે મોત.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં બેદરકારી સામે આવ્યાના 3 મહિના અને તે મામલે  ધરપકડ થયા ને 2 મહિના બાદ આખરે ગુજરાત મેડિકલ કાઉન્સિલ જાગ્યું છે. ગુજરાત સરકારના એડી. ડાયરેક્ટર, મેડિકલ સર્વિસીસ દ્વારા ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદના આધારે PMJAYના ડેપ્યુટી ડાયરેક્ટર ડો. યુ.બી. ગાંધીની અધ્યક્ષતામાં એક 7 સભ્યોની તપાસ સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ અને કાઉન્સિલના સુનાવણીના આધારે, બન્ને ડોક્ટરોની કામગીરી જાહેર આરોગ્ય માટે જોખમી ગણાતા, સર્વાનુમતે ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ કાંડ સાથે સંકળાયેલા ડો. સંજય મુળજીભાઇ પટોળિયા (એમબીબીએસ- એમ.એસ. સર્જરી), ડો. શૈલેષકુમાર અમૃતલાલ આનંદ (એમબીબીએસ-ડી.સી.એમ.)નું લાઈસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો.  તેમના લાયસન્સ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ના સેક્શન 22(1)(બી)(આઈ) હેઠળ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ખ્યાતિ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં પીએમજેવાય યોજના દ્વારા દર્દીઓના બિનજરૂરી ઓપરેશનો કરી તગડાં પૈસા કમાવવાના કેસમાં આ પગલા લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ડૉ. સંજય પટોળિયા ખ્યાતિ હોસ્પિટલનો ડિરેક્ટર હતો. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આરોપી ડૉ. સંજય પટોળિયાનો 39 ટકા ભાગ હતો અને તે બેરિયાટ્રિક્સ સર્જન હતો. ખ્યાતિ હોસ્પિટલે પીએમજેએવાય યોજના હેઠળ 15 કરોડ રૂપિયા મેળવ્યા છે. ડો. સંજયે જ ખ્યાતિ હોસ્પિટલની બેરિયાટ્રિક્સ હોસ્પિટલના નામથી શરૂઆત કરી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની મેડિકલ સારવારને લગતા તમામ નિર્ણયો પોતે લેતો હતો. હોસ્પિટલમાં નવા મેડિકલ વિભાગો ચાલુ કરવા તથા તે માટે જરૂરી ડોકટરો લાવવા માટેની કામગીરી ડો. સંજય જ સંભાળતો હતો.