AMA ખાતે અધિકૃત શાકાહારી ‘જાપાનીઝ રાંધણકળા કાર્યશાળા’

મુંબઈઃ નવેમ્બર, ૨૦૧૬માં જાપાનના તે વખતના વડા પ્રધાન શિન્ઝો આબે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં પરસ્પર સહકાર માટે હ્યોગો-ગુજરાત એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. હ્યોગો-ગુજરાત રાજ્યની ભાગીદારીની છઠ્ઠી વર્ષગાંઠની યાદમાં અને હ્યોગો-ગુજરાત ફ્રેન્ડશિપ મિશનનાં ભાગરૂપે  અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA )નાં જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર અને ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, ગુજરાત દ્વારા હાલમાં જ “જાપાનીઝ રાંધણકળા કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યશાળાનું મુખ્ય સંચાલન જાણીતા રાંધણકળા નિષ્ણાત પૂર્વી સંદીપ શાહ, ઈન્ડિયા ક્લબ, કોબે દ્વારા કરવામાં આવ્યું હતું કે જેઓ કોબે, જાપાનમાં ૩૦વર્ષથી વધુ સમયથી રહે છે. જાપાનીઝ એસોસિએશન અમદાવાદના સભ્યો આરી મિયાકે, કાયોકો સાસાગાવા, નાહો કોમિયા અને આયાના હિગાશીસોગાવાએ કાર્યશાળામાં સક્રિયપણે યોગદાન આપ્યું હતું.

ટોફુ, ઉડોન નૂડલ્સ, જાપાનીઝ ચોખા, ગુલાબી અને લાલ આદુ, પીળો મૂળો, ફણગાવેલા કઠોળ, માયોનીઝ, સોયા સોસ, ડુંગળી, ગાજર, કેપ્સિકમ, મશરૂમ્સમાંથી બનાવેલ “ઓનિગિરી”, “યાકીઉડોન”, “ઓકોનોમીયાકી” જેવી અધિકૃત શાકાહારી જાપાનીઝ વાનગીઓ અને જાપાનીઝ ગ્રીન ટીમાંથી બનાવેલ “માચા કેક” મુખ્ય આકર્ષણો હતા.

લગભગ ૩૦ સહભાગીઓએ જીવંત રાંધણકળા કાર્યશાળાનો આનંદ માણ્યો હતો અને જાપાનીઝ રાંધણકળા વિશે તાલીમ મેળવીને તમામ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.