નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ત્રણ વ્યક્તિઓનાં મોતની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. દેશી દારૂ પીધા પછી ત્રણ લોકોના શંકાસ્પદ મોત થયા છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ, મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના બનતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આખી વાત એમ છે કે, નડિયાદ શહેરના જવાહરનગરના ફાટક પાસે ચાલતા દેશી દારૂના અડ્ડા પર ગઈકાલે મોડી સાંજે દારૂ પીધા બાદ યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા,રવિન્દ્ર જીણાભાઈ રાઠોડ અને કનુ ધનજી ચૌહાણની તબીયત લથડી હતી અને લથડીયા ખાવા લાગતા નજીકના સ્થળ પર પડી ગયા હતા અને પરિવારજનોને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ત્રણેયને 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે યોગેશ કુસ્વાહા, રવિન્દ્ર રાઠોડ અને કનુ ચૌહાણને મૃત જાહેર કર્યા હતા. આ અડ્ડા પરથી દસથી પંદર લોકોએ દેશી દારૂ પીધો હોવાનું અનુમાન છે. આ તમામ મૃતકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક વધવાની સંભાવના છે. આ ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલમાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એક બુટલેગરની અટકાયત કરી હોવાની માહિતી સ્થાનિક સૂત્રો દ્વારા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઘટનાના પગલે પોલીસે તજવીજ હાથ ધરી છે. 3 લોકોના મોતની તપાસ માટે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ, સ્થાનિક LCB, SOG, DYSP, અને IBની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. નડિયાદ જવાહરનાગર સોસાયટીમાં જય મહારાજ સોસાયટી પાસે, મંજીપુરા રોડ ફાટક પાસે પોલીસની ગાડીઓ પહોંચી ગઈ હતી. એક બહેરો મૂંગો વ્યક્તિ પણ આમાં ભોગ બનવાની આશંકા છે અને એક પાણી પૂરી વેચનારનું પણ મોત થયું છે. આ મામલે જ્યારે મૃતકોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા તો તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં જાણકારી મળી કે મૃતકોના બ્લડમાં મિથાઈલ આલ્કોહોલ ન હતું. ઉલ્લેખનીય છે કે મૃતકોના પરિજનો દાવો કરી રહ્યા છે કે દેશી દારૂ પીવાને કારણે આ લોકો ગણતરીની મિનિટોમાં જ મૃત્યુ પામી ગયા હતા.
