અમિત શાહના ફોર્મ ભરવાના પ્રસંગને આમ ઐતિહાસિક બનાવશે પક્ષ…

ગાંધીનગર– ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શનિવારે 30મી માર્ચે લોકસભા ચૂંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. ગાંધીનગર લોકસભા બેઠક માટે અમિત શાહના ભાજપ તરફથી ફોર્મ ભરવાના આ પ્રસંગને પક્ષ દ્વારા ઐતિહાસિક બનાવવામાં આવશે. જે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ રાજ્યસભામાંથી સાંસદ બન્યાં છે, ત્યારે સામાન્ય સંસદીય ચૂંટણી દ્વારા સંસદમાં સાંસદ તરીકે પ્રથમવાર પોતાનું ફોર્મ ભરશે જેને લઇને કાર્યકરોમાં આગવો ઉત્સાહ છે.
મળતી માહિતી પ્રમાણે ફોર્મ ભરવાના દિવસે ગાંધીનગર સેક્ટર 12 બલરામ ભવનથી સવારે 10 વાગ્યાથી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી અમિત શાહ રોડ શૉ કરશે. જેમાં ઢોલનગારાં સાથે કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાશે.

ત્યારબાદ બપોરે 12: 39 ના વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારીપત્ર ભરશે.અમિત શાહના આ કાર્યક્રમની જોરદાર તૈયારીઓ માટે લોકસભા બેઠકના મતવિસ્તારમાંમાં આવતાં ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. તેમ જ પ્રદેશ નેતાઓથી માંડીને આગેવાનોને પણ જવાબદારી સોંપવામાં આવી છે.સીએમ વિજય રૂપાણી પણ અમિત શાહના ઉમેદવારીપત્ર ભરવાના અવસરમાં હાજર રહે તેવી શકયતા છે. અમિત શાહ ગાંધીનગર ચૂંટણી અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ ભરવાના છે. ત્યારે ગાંધીનગર કલેક્ટરની અધ્યક્ષતામાં અમિત શાહના ફોર્મ ભરવાને લઇને એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને વ્યવસ્થા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.