અમદાવાદ રિવરફ્રન્ટ ફૂટ ઓવરબ્રિજની કામગીરી પૂરજોશમાં…..

અમદાવાદ- શહેરમાં એક વખત ગંદા નાળા રુપે વહેતી સુકી ભંઠ સાબરમતી નદીમાં નર્મદાના નીર આવ્યા પછી જીવંત થઇ ગઇ. નદીની બંન્ને તરફ રિવરફ્રન્ટ થતાં જ શહેરની સુંદરતા વધી ગઇ. રિવરફ્રન્ટ અમદાવાદમાં એક વધુ  જોવાલાયક-ફરવાલાયક સ્થળ બની ગયું.

સાબરમતી નદી પર રિવરફ્રન્ટની સાથે સગવડતા અને સુંદરતા માટેના અવનવા પ્રયોગો પણ થતા રહે છે. હાલમાં જમાલપુર થી એનઆઇડી-પાલડી તરફ એક ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય થઇ રહ્યું છે. શહેરીજનો થોડાક જ મહિનાઓ બાદ ડિઝાઇનર ફૂટ બ્રિજ પરથી પસાર થઇ શકશે.

આ બ્રિજની બંન્ને તરફ લોકો માટે સુવિધાઓ ઉભી કરાશે. ફૂટ ઓવર બ્રિજ માટે હાલ નદીના બંન્ને કાંઠે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર અમદાવાદમાં હાલ લોકોની સુવિધા માટે મેટ્રો રેલ કામ પણ પુર જોશમાં ચાલી રહ્યું છે, એના પોલ પણ ઠેર ઠેર નંખાઇ રહ્યા છે.

તસવીર અહેવાલ પ્રજ્ઞેશ વ્યાસ