અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 19 જુલાઈ, 2023ના રોજ થયેલા ગંભીર અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલને ગુજરાત હાઈકોર્ટે તેની માતાના ઓપરેશનને કારણે મેડિકલ ગ્રાઉન્ડ પર 26 મે, 2025ના સવારે 6 વાગ્યાથી 29 મે, 2025ના રાત્રે 9 વાગ્યા સુધી ચાર દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે. કોર્ટે શરત મૂકી છે કે જો 26 મેના રોજ તેની માતાનું ઓપરેશન નહીં થાય તો તથ્યએ તાત્કાલિક સરેન્ડર કરવું પડશે. જામીન દરમિયાન ત્રણ પોલીસકર્મીઓ તેની સાથે સુરક્ષા બંદોબસ્તમાં રહેશે. અગાઉ તથ્યને સાત દિવસના હંગામી જામીન મળ્યા હતા, પરંતુ ઓપરેશન ન થતા તેણે સરેન્ડર નહોતું કર્યું, જેની નોંધ કોર્ટે લીધી.
સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કરતાં જણાવ્યું કે તથ્યના માતા-પિતાએ જ ડૉક્ટર પાસેથી 26 મેની તારીખ માગી હતી, અને ઓપરેશનમાં તથ્યની હાજરી જરૂરી નથી. વકીલે એમ પણ દલીલ કરી કે અગાઉ મળેલા જામીન દરમિયાન ઓપરેશન ન થયું હોવા છતાં તથ્યએ સરેન્ડર નહોતું કર્યું, જેના કારણે ડૉક્ટરના સર્ટિફિકેટની ચકાસણી માટે સમય માંગવામાં આવ્યો હતો.
19 જુલાઈ, 2023ના રોજ અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ ખાતે તથ્ય પટેલે 141.27 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે જેગુઆર કાર ચલાવીને ભીડ પર ચડાવી દીધી હતી, જેમાં 9 લોકોના મોત થયા અને 13 લોકો ઘાયલ થયા. આ ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનો પણ સમાવેશ થાય છે. તથ્ય અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે IPCની કલમ 279 (રશ ડ્રાઇવિંગ), 304 (હત્યા ન ગણાતી હત્યા), 308 (હત્યાનો પ્રયાસ), 337, 338 (લાપરવાહીથી ઇજા), 504 (શાંતિ ભંગના ઇરાદે અપમાન), 506(2) (ગુનાહિત ધમકી), 114 (ઉશ્કેરણી) અને 188 (સરકારી આદેશનું ઉલ્લંઘન) તેમજ મોટર વ્હીકલ ઍક્ટની કલમ 177, 184 અને 134(b) હેઠળ ગુનો નોંધાયો છે
