‘સોશિયલ મિડિયા દિવસ-2021’ નિમિત્તે રેડી ડિજિટલ ડાયલોગની 9મી આવૃત્તિ યોજાઈ

ગાંધીનગરઃ ઉત્તરદાયી ડિજિટલ વ્યવહારને ઉત્તેજન આપતી સામાજિક પહેલ ReDi (રિસ્પોન્સિબ્લી ડિજિટલ)ના સંવાદની 9મી આવૃત્તિ સોશિયલ મિડિયા દિવસે જ યોજવામાં આવી હતી. આ ડિજિટલ ડાયલોગમાં સંદેશવ્યવહારના નિષ્ણાતો, શિક્ષણશાસ્ત્રીઓ, સોશિયલ મિડિયાના નિષ્ણાતો, પોલીસ અધિકારીઓ તથા અન્યોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તમામ વયજૂથનાં લોકોને ભાગ લેવાનો મોકો અપાયો હતો.

આ વખતના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કોરોનાવાઈરસ રોગચાળા સંકટ દરમિયાન સોશિયલ મિડિયાનો ન્યાયિક રીતે ઉપયોગ કરાય એની તકેદારી લેવાનો. યૂનિસેફ, ગુજરાત સંસ્થાનાં વડાં ડો. લક્ષ્મી ભવાનીએ કહ્યું હતું કે કોરોનાસંકટ દરમિયાન સોશિયલ મિડિયાએ નિઃશંકપણે મોટો ફરક પાડી દીધો છે અને આપણને મિત્રો તથા પરિવારજનો સાથે સંપર્કમાં રહેવામાં મદદ કરી છે તે ઉપરાંત આપણાં કૌશલ્યને પ્રદર્શિત કરવાનો માર્ગ પણ પૂરો પાડ્યો છે. શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે તો સોશિયલ મિડિયા આશીર્વાદ સાબિત થયું છે. ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા શિક્ષકો-શાળાઓ તથા વિદ્યાર્થીઓ એકબીજાનાં સંપર્કમાં રહી શક્યાં છે.

પોલીસ અધિકારી રેમા રાજેશ્વરીએ પોતાનાં સંબોધનમાં લોકોને સોશિયલ મિડિયાનો ઉપયોગ કાળજીપૂર્વક અને બુદ્ધિપૂર્વક કરવાની અપીલ કરી હતી. સોશિયલ મિડિયા મારફત મળતી વિલાસીતાથી મનને દૂર રાખવું જોઈએ. યૂનિસેફના ડો. શ્રવણ ચેન્જીએ સંતાનોનાં સકારાત્મક ઉછેર પર ભાર મૂક્યો હતો. રોગચાળાને કારણે લોકોને ઘરમાં જ રહેવું પડે છે. બાળકો સોશિયલ મિડિયાના બંધાણી બની ન જાય એની માતાપિતાએ તકેદારી રાખવી જોઈએ અને દિવસમાં કમસે કમ એક કલાક એમની સાથે વાતચીત કરવી જોઈએ.

સાગર કૌલે કહ્યું કે જે લોકો ફેક ન્યૂઝનો શિકાર બની જાય છે તેઓ વાઈરસનો ભોગ બનતા હોય છે. યૂનિસેફનાં મોઈરા દાવાએ યન્ગ ડિજિટલ વોલન્ટિયર્સ પ્રોગ્રામ અને યન્ગ પીપલ્સ એક્શન ટીમ વિશે પોતાનાં વિચારો રજૂ કર્યાં હતાં. અમિત ખેતાને કહ્યું કે સોશિયલ મિડિયાના ભાવિનો આધાર આપણે એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેની પર અવલંબે છે. રેડિયો જોકી હર્ષે કોવિડ-19 દરમિયાન પોતાના અનુભવો શેર કર્યા હતા. લોકોને કોવિડ-19 રસીનું મહત્ત્વથી જાગૃત કરવા માટે પોતે રેડિયો માધ્યમનો ઉપયોગ કર્યો હતો એમ કહ્યું. લોકોને સમજાવ્યાં કે સોશિયલ મિડિયા પરની મિથ્યા વાતો પર ભરોસો કરવાને બદલે વિજ્ઞાનને માનજો.