રાજ્યનાં 2૦૭ જળાશયોમાં ૬૮ ટકા, નર્મદા ડેમ 80 ટકા ભરાયો

અમદાવાદઃ રાજ્યમાં પડી રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્ત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ચોથી ઓગસ્ટ સુધીમાં ૬૮.૦૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૬૬,૦૨૪ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહશક્તિના ૭૯.૬૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૩,૪૦,૯૫૮ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૬૧.૦૮ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યનાં ૩૩ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૮ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૫ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૩૮ જળાશયોમાં ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્ચે, ૫૨ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતનાં ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયો, કચ્છનાં ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનાં ૩૩ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૨૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતાં હાઈએલર્ટ પર છે. ૧૦ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતાં એલર્ટ પર તથા ૧૭ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતાં સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.