શિક્ષણ વિભાગની નીતિ સામે 15,000 શિક્ષકો આંદોલનના માર્ગે

અમદાવાદઃ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ સરકાર સામે આંદોલનના મૂડમાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનોજ પટેલે કહ્યું હતું કે 4200 ગ્રેડ પેનો અમલ ન થતાં શિક્ષકો આંદોલન કરીને નારાજગી દર્શાવશે.  શિક્ષકો પાંચ ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન સોશિયલ મિડિયાના માધ્યમથી નારાજગી દર્શાવશે. જો તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક વલણ નહીં અપનાવાય તો આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે.

સરકાર દ્વારા 4200 ગ્રેડ પેના ઠરાવમાં ઉલ્લેખ હોવા છતાં પણ મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષકોને હકથી વંચિત રાખવામાં આવ્યા છે. શિક્ષકોને લાભ મળવાપાત્ર હોવા છતાં 19 નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાના શિક્ષકોને લાભ નથી મળી રહ્યો. શિક્ષકો પાંચ ઓગસ્ટથી રાજ્યના 15,000 શિક્ષકો પાંચ દિવસ ઉપવાસ પર બેસશે. સરકારે 4200 ગ્રેડ પેનો લાભ જિલ્લા પંચાયતના શિક્ષકોને આપ્યો, પરંતુ કોર્પોરેશન અને નગરપાલિકાના શિક્ષકોને એનાથી બાકાત રાખ્યા, જેથી શિક્ષકો આંદોલન કરશે.

રાજ્યમાં જિલ્લા પંચાયતની જે શાળાઓ કોર્પોરેશનમાં ભળી છે એ શિક્ષકોને પણ લાભ આપવામાં આવ્યો છે. રાજકોટ મનપાના શિક્ષકોને લાભ આપવામાં આવ્યો છે, એ શિક્ષકો કેળવણી નિરીક્ષકની પોસ્ટ પર હોવાથી લાભ મળવા પાત્ર છે એવા કારણ સાથે તેમને લાભ આપવામાં આવ્યો છે.

અમે સુપરવાઇઝરની પોસ્ટ પર છીએ એટલે લાભ મળવાપાત્ર ના હોવાનું કારણ આપીને સરકાર દ્વારા અમને અમારા અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે.  અમને ઠરાવ મુજબ અમારી માગ પૂરી કરી આપવામાં આવે એવી વિનંતી અમે સરકારને કરી રહ્યા છીએ.