રાજ્યના 117 જળાશયો 100 ટકા ભરાયા, ગુજરાતમાં કુલ 86.70 ટકા જળસંગ્રહ

ગુજરાતમાં લલનીનો કારણે સામાન્ય કરતા વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં તમામ વિસ્તારમાં મેઘરાજા મન મૂકી વરસ્યા છે. ભારે વરસાદના પગલે તમામ જળાશયો ધરખામ પાણીની આવક નોંધયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં 31,5836 મિલિયન ક્યુબિક ફૂટ જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 94.54 ટકા છે. આ ઉપરાંત તરફ રાજ્યના 206 જળાશયોમાં 86.70 ટકા જળસંગ્રહ છે.

ગુજરાતના તમામ જળાશયોમાં પાણીની ધરખમ આવક નોંધાય છે. જેમાં રાજ્યના 117 જળાશયો ચોમાસાની સિઝન દરમિયાન 100 ટકા ભરાય ચૂક્યા છે. જ્યારે 51 જળાશયો 70 ટકાથી 100 ટકા, 18 જળાશયો 50 ટકાથી 70 ટકા, 13 જળાશયો 25 ટકાથી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 7 જળાશયોમાં હજુ પણ જળસ્તર 25 ટકાથી ઓછું છે. આમ 149 જળાશયો હાઈ એલર્ટ, 11 જળાશયો એલર્ટ અને 8 જળાશયો વોર્નિંગ હેઠળ છે. ઉત્તર ગુજરાતના 15માંથી 2, મધ્ય ગુજરાતના 17માંથી 9, દક્ષિણ ગુજરાતના 13માંથી 9, કચ્છના 20માંથી 14, સૌરાષ્ટ્રના 141માંથી 83 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. સરદાર સરોવરમાં એક મહિના અગાઉ 88.35 ટકા જળસંગ્રહ હતો. આ ઉપરાંત એક મહિના અગાઉ 100 ટકા ભરાયેલા હોય તેવા જળાશયોની સંખ્યા 53 હતી.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પર નજર કરીએ તો આજે અને આવતીકાલે અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.