અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે લીધી સુઓમોટો નોંધ

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે શનિવાર સાંજની ઘટના બાદ આજે રવિવારે સવારે જ હાઈકોર્ટે તેની સુઓમોટો નોંધ લીધી હતી. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો નોંધ લીધી છે અને આવતીકાલે સોમવારે વધુ સુનાવણી થશે.

TRPGamezone

કોર્ટે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ સાથે કોર્ટે કહ્યું કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી હતી.

કોર્ટે કહ્યું કે કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. અહી જણાવવાનું કે આ મામલામાં આગામી સુનાવણી આવતીકાલે થશે. કોર્ટે ગઈકાલે રાજ્ય સરકારની સાથે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને સમન્સ પાઠવ્યા છે.