‘ગુડી પડવો’ તહેવારની ઉજવણીમાં ધર્મ સાથે વૈજ્ઞાનિક મહત્વ

અમદાવાદ: હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને હિંદુ કેલેન્ડર અનુસાર હિંદુઓના નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. એ જ સમયે, આ દિવસ ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ પણ છે. એવું માનવામાં આવે છે કે ગુડી પડવાના તહેવારની ઉજવણી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઉજવાતા ગુડી પડવાના તહેવારને  દુનિયાભરના મહારાષ્ટ્રીયન લોકોએ ઉત્સાહ અને ઉમંગથી ઉજવ્યો.    ગુજરાતના કલોલમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના પૂજા નિફાડકર ચિત્રલેખા.કોમને કહે છે ગુડી પડવોએ મહારાષ્ટ્રીયન લોકોનું નવ વર્ષ છે. રામના અયોધ્યા પ્રવેશના ઉમંગની ઉજવણી સાથે આ તહેવારમાં વૈજ્ઞાનિક મહત્વ પણ છે. લીમડો મોરની કડવાસ અને હાયડાનું ગળપણ ગુડી પડવા સાથે જોડાયું છે. મહારાષ્ટ્રમાં તો ગુડીની શ્રેષ્ઠ સજાવટ અને ઉંચાઈની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે.વર્ષ 2024માં ગુડી પડવો: મંગળવાર, 9 એપ્રિલ, ચૈત્ર માસની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ દિવસથી હિંદુ નવું વર્ષ પણ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. હિંદુ કેલેન્ડર મુજબ, આજે  હિંદુ નવા વર્ષ વિક્રમ સંવત 2081નો પહેલો દિવસ છે. મહારાષ્ટ્રમાં આ દિવસને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. મરાઠી લોકો આ દિવસે ગુડી બનાવે છે. ગુડી બનાવવા માટે પિત્તળના વાસણને થાંભલા પર ઊંધું રાખવામાં આવે છે, તેને ઘેરા રંગના રેશમી, લાલ, પીળા કે કેસરી કાપડ અને ફૂલોની માળા અને અશોકના પાંદડાઓથી શણગારવામાં આવે છે. ગુડીને બ્રહ્મધ્વજ પણ કહેવામાં આવે છે.  શુભ સમય: ગુડી પડવાના દિવસે, 9 એપ્રિલ, 2024 ના રોજ, શુભ સમય સવારે 09.12 થી બપોરે 01.58 સુધીનો છે. આ સમય દરમિયાન ઘરમાં સુંદર મૂર્તિ લગાવો અને તેની પૂજા કરો. આ ગુડી વિજયનું પ્રતિક છે. આ તહેવાર પર, લોકો તેમના ઘરને કેરીના પાંદડાના હારથી શણગારે છે.  રંગોળી બનાવે છે. ગુડી પડવાના દિવસે ઘરમાં મીઠી પુરણ પોળી, શ્રીખંડ બનાવવાની અને લીમડાના પાન ખાવાની પરંપરા છે. ગુડીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને વિજયના આશીર્વાદ મળે છે.મહત્વ: આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી, હિંદુ નવું વર્ષ પણ ગુડી પડવાથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ગુડી પડવાના દિવસે સુંદરકાંડ, રામરક્ષાસ્તોત્ર અને દેવી ભગવતીના મંત્રોનો જાપ કરવાથી વર્ષ દરમિયાન દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. ગુડી પડવા પર સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ગુડી પડવા પર સૂર્ય ભગવાનની પૂજા કરે છે તેમને આરોગ્ય, સારું સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિ મળે છે. મરાઠી લોકોનું નવું વર્ષ ગુડી પડવાથી શરૂ થાય છે. દક્ષિણ ભારતના પ્રદેશમાં એવું માનવામાં આવે છે કે તે ચૈત્ર શુક્લ પ્રતિપદાનો દિવસ હતો જ્યારે ભગવાન શ્રી રામે બાલીનો વધ કર્યો હતો. આ સાથે  દક્ષિણ ભારતના લોકોને મુક્ત કર્યા હતા. હિંદુ નવું વર્ષ વિક્રમ સંવત 2081 ગુડી પડવાથી જ શરૂ થશે. આ નવા વર્ષના પ્રથમ દિવસના સ્વામીને સમગ્ર વર્ષનો સ્વામી માનવામાં આવે છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)