અમદાવાદઃ ભાજપમાં પત્રિકા વિતરણનો મામલો ચર્ચામાં રહ્યા બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પણ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં કેટલાક લોકો દ્વારા પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પાર્ટીના કેટલાક નેતાઓ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને ભાજપ સાથે ‘સેટિંગ’ કર્યાનો સીધો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને કારણે કોંગ્રેસના આંતરિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસ કાર્યાલયમાં વેચાયેલી આ પત્રિકાઓમાં ભાજપ સાથે ‘સેટિંગ’ કરતા નેતાઓનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ પત્રિકામાં કોંગ્રેસના બે અગ્રણી નેતાઓ, હિંમતસિંહ પટેલ અને શૈલેશ પરમારનાં નામ સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
આ પત્રિકાઓમાં આ નેતાઓ પર કોંગ્રેસ કાર્યાલય પર થયેલા પથ્થરમારાની ઘટનામાં ભાજપ સાથે ‘સેટિંગ’ કર્યું હોવાનો ચોંકાવનારો ઉલ્લેખ છે. આ ઉપરાંત પોલીસ ફરિયાદમાં પણ ભાજપ સાથે ‘સેટિંગ’ કર્યાનો આરોપ આ બંને નેતાઓ પર લગાવવામાં આવ્યો હોવાનું પત્રિકામાં જણાવવામાં આવ્યું છે. આ ગંભીર આરોપો બાદ પત્રિકામાં હિંમતસિંહ પટેલ અને શૈલેશ પરમારને તાત્કાલિક પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરવામાં આવી છે.
જોકે કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે. તેમણે આ ઘટનાને કેટલાક ‘બની બેઠેલા નેતાઓ’નું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ખોટી પત્રિકા વાયરલ કરીને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું એક મોટું ષડયંત્ર છે.
