ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કર્યા

અમદાવાદઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા હતાં અને ભગવાન શ્રીરામના દર્શન કર્યા હતાં. તેમણે આકાર પામી રહેલા રામ મંદિરની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું. તેમણે ભવ્ય રામમંદિરની નજીકમાં ગુજરાત સરકાર દ્વારા વિશાળ યાત્રી ભવનનું નિર્માણ હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. ભુપેન્દ્ર પટેલે આ ભવ્ય રામમંદિરના દર્શને આવનારા શ્રદ્ધાળુઓને મંદિર પરિસર નજીક આવાસ- નિવાસ સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આ યાત્રીભવનનું નિર્માણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ભગવાનની શ્રીરામના દર્શન માટે આવતા ભાવિકો માટે આ યાત્રી ભવન આધ્યાત્મ અને પ્રવાસનના સંગમ સમૂહ બની રહેશે. એટલું જ નહીં, વડાપ્રધાને વિરાસતના ગૌરવ સાથે વિકાસ સાધવાના આપેલા કાર્ય સૂત્રને પણ સાકાર કરશે.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પ્રમોશન માટે જાપાનના પ્રવાસે જતા અગાઉ શનિવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીએ અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા ભગવાન શ્રીરામચંદ્રજીના ભવ્ય મંદિર સંકુલની પૂર્ણતાને આરે પહોંચેલી કાર્યવાહીની માહિતી મેળવી હતી.તેમણે આ અવસરે શ્રદ્ધા ભાવપૂર્વક રામ લલ્લાના દર્શન- અર્ચન તેમજ હનુમાનગઢી મંદિરમાં હનુમાનજીના પણ દર્શન-અર્ચન કર્યા હતા.વડાપ્રધાનમોદીની પ્રેરણા દાયી ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં આ ભવ્ય રામમંદિરમાં ભગવાન શ્રીરામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉમંગ- ઉત્સવ ઉજવાશે.