BCCI એ એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 એશિયા કપ 2023 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પંજાબ તરફથી રમતા ઉદય સહારનને આ ટીમની કમાન સોંપવામાં આવી છે. આ ટુર્નામેન્ટનું આયોજન દુબઈ દ્વારા કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ 8 ડિસેમ્બરથી શરૂ થશે જ્યારે ફાઈનલ મેચ 17 ડિસેમ્બરને રવિવારે રમાશે.

ભારતીય ટીમ અંડર-19 એશિયા કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. એટલે કે આ પહેલા ગત સિઝનમાં ભારતે આ ખિતાબ જીત્યો હતો. ભારતની અંડર-19 ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. અંડર-19 ભારતીય ટીમે સૌથી વધુ 8 ટ્રોફી પોતાના નામે કરી છે. આ વખતે જૂનિયર ક્રિકેટ કમિટી દ્વારા 2023 એશિયા કપ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં ત્રણ પ્રવાસી સ્ટેન્ડબાય ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટીમના ચાર રિઝર્વ ખેલાડીઓની પણ જાહેરાત કરવામાં આવી છે, જેઓ ટીમ સાથે દુબઈ નહીં જાય.

ભારતે 2022માં ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું

તમને જણાવી દઈએ કે આ પહેલા 2022માં રમાયેલા એશિયા કપ 2022માં નિશાંત સિંધુની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ એકતરફી મેચમાં જીત મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની અંડર-19 ટીમ 38 ઓવરમાં માત્ર 106 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી વિકી ઓસ્તવાલે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. આ સિવાય કૌશલ તાંબેએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રવિ કુમાર અને રાજ બાવાએ 1-1 વિકેટ લીધી હતી.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 21.3 ઓવરમાં માત્ર 1 વિકેટે જીત મેળવી લીધી હતી. ટીમ માટે ઓપનિંગ કરવા આવેલા અંગક્રિશ રઘુવંશીએ 67 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 56* રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સિવાય શેખ રશીદે 49 બોલમાં અણનમ 31* રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા સામેલ હતા.

અંડર-19 એશિયા કપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમ

અર્શિન કુલાર્ની, આદર્શ સિંહ, રૂદ્ર પટેલ, સચિન, પ્રિયાંશુ મોલિયા, મુશીર ખાન, ઉદય સહારન (કેપ્ટન), અરવેલ્લી અવનીશ રાવ, સૌમ્ય કુમાર, મુર્ગન અભિષેક, ઇનેશ મહાજન, ધનુષ ગોવડ, આરાધ્યા શુક્લા, નમામ તિવારી, રાજ લિંબાણી.

સ્ટેન્ડબાય પ્લેયર્સ : પ્રેમ દેવકર, અંશ ગોસાઈ, મોહમ્મદ અમાન.

4 રિઝર્વ ખેલાડીઓ : દિગ્વિજય પાટીલ, જયંત ગોયત, પી વિગ્નેશ, કિરણ ચોરમલે.