ગુડ ફ્રાઈડે : માનવ કલ્યાણ માટે મોતનો સ્વિકાર

અમદાવાદ: ખ્રિસ્તી ધર્મમાં ગુડ ફ્રાઈડેનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે ઈસાઈ ધર્મના પ્રવર્તક પ્રભુ ઈસુ મસીહએ માનવ કલ્યાણ માટે વધ સ્થંભ પર લટકી પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. એમને વધ સ્થંભ પર લટકાવી યાતનાઓ આપવામાં આવી હતી. જેના દ્રશ્યો અમદાવાદ શહેરની સેંટ ઝેવિયર્સ શાળામાં રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે જમાલપુર વિસ્તાર નજીક રાયખડમાં આવેલી ચર્ચ પાસેથી ગુડ ફ્રાઈડે નિમિત્તે એક રેલી નીકળી હતી. શહેરના તમામ ચર્ચમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓએ પ્રાર્થના કરી હતી.રાયખડ પાસેની ચર્ચ પાસેથી નીકળેલી રેલીના સંચાલન કાર્યકર રુફાસભાઈ કહે છે, “એ સમયે ભગવાન ઈશુએ માનવ જાતના કલ્યાણ માટે વેઠેલી યાતનાઓને અહીં અમે પ્રતિકાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરીએ છીએ. આજના દિવસને ઈસાઈ અનુયાયી શોક દિવસ તરીકે મનાવે છે. આ દિવસે ઈસાઈ ધર્મને માનતા લોકો ચર્ચમાં જઈ પ્રભુને યાદ કરે છે.” ઈસાઈ માન્યતાઓ અનુસાર પવિત્ર ગુરુવારની સાંજે ભોજન બાદ કોઈ ઉત્સવ નથી થતા. આ સમય ઈસ્ટરની અવધિ પૂર્ણ ન થાય ત્યાં સુધી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા સ્થળ ખાલી રહે છે. આ દિવસો દરમિયાન પૂજા ઘરમાં ક્રોસ, મીણબત્તી, વસ્ત્ર કંઈ જ પણ ચઢતું નથી. આ ઉપરાંત જળના પાત્ર પણ ખાલી કરી દેવામાં આવે છે. માનવામાં આવે છે કે ઈશુને ક્રોસ પર લટકાવાયા હતા તે દિવસે શુક્રવાર હતો, ત્યારથી આ દિવસને ગુડ ફ્રાઈડ કહેવામાં આવે છે. ક્રોસ પર લટકાવાયાના ત્રણ દિવસ બાદ એટલે કે રવિવારે ઈસા મસીહ ફરી જીવિત થયા હતા. આ દિવસની ખુશી તરીકે ઈસ્ટર રવિવારની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસને ઈસ્ટર સંડે કહેવામાં આવે છે.ઈસાઈ ધર્મ અનુસાર ઈસા મસીહ પરમેશ્વરના પુત્ર હતા. ઈસુ ખ્રિસ્તને મૃત્યુદંડ એટલા માટે આપવામાં આવ્યો કારણ કે તે અજ્ઞાનતાના અંધકારને દૂર કરવા લોકોને શિક્ષિત અને જાગૃત કરી રહ્યા હતા. એ સમયે કટ્ટરપંથીઓ એમનો વિરોધ કરી રહ્યા હતા. કટ્ટરપંથીઓએ રોમન ગવર્નરને ઈશુની ફરિયાદ કરી હતી. કટ્ટર પંથીઓને ભય હતો કે, એમના વિરુદ્ધ આરોપ ઘડી નાખ્યો.. ઈશુને ક્રોસ પર લટકાવી અને મારી નાખવાનો આદેશ આપ્યો. પરંતુ યુગ પ્રવર્તક ભગવાન ઈશુએ પોતાના હત્યારાઓ માટે પણ પ્રાર્થના કરી કે ઈશ્વર તેમને ક્ષમા કરે કારણ કે તેઓ જાણતા નથી કે તે શું કરી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)