ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના આજે થશે અંતિમ સંસ્કાર

રાજકોટઃ અમદાવાદના મેઘાણીનગરમાં 12 જૂને બનેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ CM વિજય રૂપાણી સહિત 260થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોના તેમ જ પરિવારજનોના DNA ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં મૃતદેહોની ઓળખ માટે કલેક્ટ કરવામાં આવેલા પરિવારજનોને DNA સેમ્પલથી અત્યાર સુધી 92 મૃતદેહોના DNA સેમ્પલ મેચ થયાં છે, જેમાંથી 33 જેટલા મૃતદેહો પરિવારને સોંપાયા છે. વિજય રૂપાણીના DNA પણ મેચ થતાં આજે સવારે 11.30 વાગ્યે તેમના મૃતદેહને પણ પરિવારને સોંપાશે. આજે સાંજે છ વાગ્યે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે. તેમની અંતિમ યાત્રા સાંજે પાંચ વાગ્યે નીકળશે.

રાજકોટના રામનાથપરા સ્મશાનગૃહના ચેરમેને વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવશે. અંતિમ સંસ્કાર સાંજે છ વાગ્યાની આસપાસ કરવામાં આવશે. વિજય રૂપાણીની અંતિમ યાત્રા સમયે રાજકોટમાં અનેક રૂટ બંધ રહેશે. પ્રકાશ સોસાયટી મેન રોડથી ભીચરી નાકાથી રામનાથપરા સ્મશાન સુધી કોઈ પણ વાહનચાલક અંતિમ યાત્રાનો રસ્તો ક્રોસ નહીં કરી શકે.

ભૂતપૂર્વ CM વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર આજે રાજકોટમાં રાજકીય સન્માન સાથે કરવામાં આવશે. રવિવારે સાંજે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો મૃતદેહ સવારે 11:30 વાગ્યે સિવિલ હોસ્પિટલથી તેમના પરિવારને સોંપવામાં આવશે. આ પછી મૃતદેહને હવાઈ માર્ગે રાજકોટ લઈ જવામાં આવશે.

રૂપાણીની અંતિમ સંસ્કાર વિધિમાં ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાની શક્યતા  છે. આ ઉપરાંત રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ અને વિજયના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે લોકોએ પહોંચવાનું શરૂ કરી દીધું છે. શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્રે પૂરતા સુરક્ષા દળો પણ તૈનાત કર્યા છે.