નવી દિલ્હીઃ મધ્ય-પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર ઘાતક યુદ્ધની શરૂઆત થવાની શક્યતા છે. ઈરાને મહિનાઓ સુધી ચાલેલા ખોદકામ અને મરામતના કામ બાદ પોતાના ભૂગર્ભ (અંડરગ્રાઉન્ડ) મિસાઇલ ઠેકાણાં ફરીથી કાર્યરત કરી દીધાં છે. બુલડોઝર અને ટ્રકોની મદદથી લગભગ 50 સુરંગો ફરી ખોલવામાં આવી છે અને ત્યાં જતાં રસ્તાઓ પણ સુધારી દેવામાં આવ્યા છે. આથી ઈરાન ફરીથી ઈઝરાયેલ પર ભારે મિસાઇલ હુમલા કરવાની ક્ષમતા મેળવી શકે છે, એમ અહેવાલ કહે છે.
જાહેર થયેલાં સેટેલાઇટ ચિત્રો મુજબ અમેરિકી અને ઈઝરાયેલી હુમલાઓમાં નિશાન બનેલાં 18 ભૂગર્ભ મિસાઇલ સ્થાનોની 69 સુરંગોમાંથી 50 સુરંગોનાં પ્રવેશદ્વારો ઈરાની સેનાએ સફળતાપૂર્વક ફરી ખોલી દીધાં છે. આ હુમલાઓનો મુખ્ય હેતુ રસ્તાઓને નુકસાન પહોંચાડવાનો અને સુરંગોના મુખ્ય પ્રવેશદ્વારોને કાટમાળ હેઠળ દબાવીને તહેરાનની મિસાઇલ ભંડાર સુધીની પહોંચ મર્યાદિત કરવાનો હતો. ઈરાને કાટમાળ દૂર કરવા અને ઠેકાણાંઓ સુધીની પહોંચ પુનઃસ્થાપિત કરવા માટે બુલડોઝર અને ડમ્પ ટ્રકોનો ઉપયોગ કર્યો હતો. સંઘર્ષ દરમિયાન ખોદકામ માટેનાં સાધનો પર વારંવાર હુમલા થવા છતાં આ કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. વિશેષજ્ઞોએ જણાવ્યું હતું કે આ ઘટનાક્રમ દર્શાવે છે કે ઈરાનની મિસાઇલ ક્ષમતાઓ અપેક્ષા કરતાં ઘણી વધુ મજબૂત છે. સેમ લેરે જણાવ્યું હતું કે ઈરાન ત્યાં સુધી મિસાઇલ લોન્ચ કરતું રહી શકે છે જ્યાં સુધી તેની પાસે લોન્ચર અને તેને સંચાલિત કરતી ટીમો ઉપલબ્ધ છે, ભલે મિસાઇલનું ઉત્પાદન બંધ થઈ ગયું હોય. તેમણે વધુમાં કહ્યું હતું કે એવું કંઈ નથી જે લોન્ચરોને ઈરાન પાસે હજુ પણ ઉપલબ્ધ મિસાઇલોના વિશાળ ભંડારથી સજ્જ થવાથી રોકી શકે.
અહેવાલ અનુસાર ભલે ઈરાન અને અમેરિકા વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુસને ફરીથી ખુલ્લો રાખવા માટે એક અસ્થાયી સમજૂતી થઈ હોય, પરંતુ તેના અમલીકરણ અંગેની ચર્ચાઓ હજુ પણ ચાલુ છે. વિશ્લેષકોનું માનવું છે કે જો ફરીથી શત્રુતા શરૂ થાય તો તહેરાન પાસે હજુ પણ મોટા પાયે મિસાઇલ હુમલા કરવાની નોંધપાત્ર ક્ષમતા બચી છે, ભલે તેના શસ્ત્ર ભંડારને ઘટાડવાના અગાઉના પ્રયાસો કરવામાં આવ્યા હોય.






