ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ અને ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. બજારમાં ડુંગળીના ભાવ ઓછા હોવાથી ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા આવા ખેડૂતોને રૂ.200 પ્રતિ કિવન્ટલની સહાય રૂ.50 હજારની મર્યાદામાં પૂરી પાડવામાં આવશે.
આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2024-25 રવિ સિઝન દરમિયાન ગુજરાતમાં ડુંગળીનું આશરે 93500 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જે સામાન્ય વાવેતર વિસ્તારની સાપેક્ષે વધુ હોવાથી રાજ્યમાં ડુંગળીનું ઉત્પાદન પણ અંદાજિત 248.70 લાખ ક્વિન્ટલ જેટલુ નોંધાયું છે.
ડુંગળીના ઓછા બજાર ભાવને પગલે ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. pic.twitter.com/mUhfVUfq1d
— Raghavji Patel (@RaghavjiPatel) June 30, 2025
મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું કે, પુષ્કળ ઉત્પાદનના પરિણામે APMCમાં ડુંગળીની આવક વધુ થતા લાલ અને સફેદ ડુંગળીના ભાવ રાજ્યની મુખ્ય APMCમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછા જોવા મળ્યા હતા. આવા સમયે રાજ્યના ખેડૂતોને સહાયરૂપ થવા માટે ભારત સરકારની માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ પ્રાઇઝ ડેફિશિયન્સી પેમેન્ટ યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવશે.
ગત તા.1 એપ્રિલથી તા.31 મે, 2025 દરમિયાન ડુંગળીનું APMCમાં વેચાણ કર્યું હોય, તેવા ખેડૂતોને રૂ.200 પ્રતિ ક્વિન્ટલ સહાય આપવામાં આવશે. આ ખેડૂતોને મહત્તમ 25 હજાર કિલો (250 ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ.50 હજાર સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ આર્થિક સહાય માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ.124.36 કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ કરવા આવી છે. જેનો રાજ્યના આશરે 90 હજાર જેટલા ખેડૂતોને લાભ મળશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે ઉમેર્યું હતું.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ડુંગળીના બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા રાજ્યના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા આર્થિક સહાય પૂરી પાડવા માટે રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની આ રજૂઆતોને હકારાત્મક પ્રતિસાદ આપીને રાજ્ય સરકારે ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક સહાય પુરી પાડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
