EXIT POLL 2024 : ગુજરાતમાં મોદી મેજીક યથાવત

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં વર્ષ 2014 અને 2019માં તમામ બેઠકો ભાજપે કબજે કરી હતી. જ્યારે કોંગ્રેસના ખાતામાં એક પણ સીટ આવી ન હતી. આ વખતે I.N.D.I.A નામથી બનેલા ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બેઠક પર ચૂંટણી લડી હતી. જ્યારે બાકીની 24 સીટ પર કોંગ્રેસે ઉમેદવાર ઉતાર્યા હતા. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ત્યાર બાદ નાટ્યાત્મક રીતે ભાજપના ઉમેદવાર સિવાયના તમામ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા એટલે ભાજપના મુકેશ દલાલના બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આમ, ભાજપના ખાતામાં એક બેઠક આવી ગઈ છે. 7મેના રોજ બાકીની 25 બેઠકો પર મતદાન થયું હતું. હવે 4 જૂને મતગણતરી થવાની છે. એ પહેલા આજે લોકસભા ચૂંટણીના સાતમાં તબક્કાનું મતદાન પૂરું થતાં જ એક્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યાં છે.

એક્ઝિટ પોલના તારણ પ્રમાણે ગુજરાતમાં ભાજપ ત્રીજી વાર ક્લીન સ્વિપ એટલે કે 26માંથી 26 બેઠકો જીતી શકે છે. કોંગ્રેસ અને AAPનું ખાતુ ખુલે તેવી કોઈ શક્યતાઓ દેખાતી નહીં હોવાનું ખાનગી ચેનલો તથા અન્ય સરવે કરનારી સંસ્થાઓના એક્ઝિટ પોલના તારણો જણાવી રહ્યાં છે.બીજી તરફ જોવા જઈએ તો ચાણક્ય, ઇન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં ભાજપે 26માંથી 26 સીટ તો રિપબ્લીક-મૈટ્રિઝના સરવેમાં ગુજરાતમાં ગઠબંધનને બે બેઠકો મળવાનું તારણ રજૂ કરાયું છે.