વડોદરા: ઐતિહાસિક કીર્તિ મંદિર સ્થિત આકૃતિ આર્ટ ગેલેરી ખાતે એક અનોખું પ્રદર્શન યોજાયું. અબોલ જીવોના કલ્યાણ અને પરંપરાગત લોકકલાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ . ૩ દિવસીય વિશેષ પ્રદર્શન યોજાયું. તા. ૨૪ થી ૨૬ ઓગસ્ટ દરમિયાન યોજાયેલું આ પ્રદર્શન મુલાકાતીઓ માટે સવારે ૧૦:૦0 થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહ્યું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં તેમના નાના પુત્રી અંજનારાજે ગાયકવાડ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ એક્ઝિબિશનમાં વિભાસ ટ્રસ્ટના માધ્યમથી પશુ સેવા ક્ષેત્રે કાર્યરત દેવગઢ બારિયાના રાજપરિવારના રાજમાતા ઉર્વશી દેવીની અનન્ય સેવાભાવના પણ જોવા મળી હતી. ૮૫ વર્ષથી વધુની વયે પણ તેઓ અકસ્માતનો ભોગ બનેલા, બીમાર અને અનાથ શ્વાનો માટે પોતાના ફાર્મહાઉસમાં શેલ્ટર હોમ ચલાવી રહ્યા છે.
રાજમાતા ઉર્વશી દેવીએ જણાવ્યું હતું કે, શેરીના શ્વાન માટે બનાવેલા આ શેલ્ટરમાં ૩૫થી વધુ અંધ અને શારીરિક રીતે અક્ષમ શ્વાનોની તેઓ પોતે જાતે સારવાર કરે છે અને તેમની દેખરેખ માટે અલાયદો સ્ટાફ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, દરરોજ ૧૦૦થી વધુ શેરીના શ્વાનોને પૌષ્ટિક ડોગ ફૂડ પૂરું પાડવું, તેમને દર વર્ષે એન્ટી-રેબીઝ વેક્સિનેશન આપવું તેમજ ખસીકરણ કરાવવું તેમની મુખ્ય સેવાકીય પ્રવૃત્તિઓ છે. એટલું જ નહીં, તેમણે પોતાના ઘરમાં પણ ૧૨ થી ૧૫ શ્વાનોને પરિવારના સભ્યોની જેમ આશરો આપ્યો છે.

આ પ્રદર્શન અંગે માહિતી આપતા વસુંધરા દેવીએ જણાવ્યું હતું કે, એક્ઝિબિશનમાં લખનવી હેન્ડવર્ક સાડીઓનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ પરંપરાગત હસ્તકળા સાથે જોડાયેલા સ્થાનિક કારીગરોને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. આ સિવાય અબોલ જીવો પ્રત્યેનો પ્રેમ દર્શાવતી ખાસ વસ્તુઓ જેવી કે ડૉગ ડિઝાઈન ધરાવતી કી-ચેઈન, ટી-શર્ટ, ફ્રિજ મેગ્નેટ અને બાસ્કેટ સહિતની વિવિધ સામગ્રીઓ પણ મુલાકાતીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.




