‘વીર સાવરકર’ ફિલ્મનું દિગ્દર્શન કરશે રણદીપ હુડા

મુંબઈઃ અગાઉ ‘સરકાર 3’, ‘ધ બિગ બુલ’ અને ‘ચેહરે’ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂકેલા ફિલ્મ નિર્માતા અને ડિસ્ટ્રીબ્યુટર આનંદ પંડિત હવે ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મને આર્થિક ટેકો આપવાના છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેતા રણદીપ હુડા કરશે અને શિર્ષક ભૂમિકા પણ એ જ ભજવશે, એમ એક અખબારી અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

આ ફિલ્મનું દિગ્દર્શન મહેશ માંજરેકર કરવાના હતા એવી અગાઉ જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અગાઉથી લીધેલી જવાબદારીઓ પૂરી કરવાની હોઈ પોતાની પાસે સમય ન હોવાને કારણે માંજરેકર ‘વીર સાવરકર’ પ્રોજેક્ટમાંથી ખસી ગયા છે. ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ના નિર્માણમાં આનંદ પંડિતની સાથે સંદીપ સિંહ અને સેમ ખાન, રૂપા પંડિત, ઝફર મેહદી પણ સામેલ થયાં છે. આ ફિલ્મ એક અલગ સ્વરૂપે ભારતની આઝાદીની ચળવળને દર્શાવશે. ફિલ્મનું શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર તેમજ આંદામાન-નિકોબાર ટાપુઓ પર કરવામાં આવશે.