સારા અલી ખાનની એક વધુ કેદારનાથ જાત્રાથી નેટયૂઝર્સ પ્રભાવિત

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન સતત સમાચારમાં રહે છે. ક્યારેક એની ફિલ્મને લીધે તો ક્યારેક એનાં વ્યવહારને કારણે. સારાનો સ્વભાવ સૌને ગમે છે. કોઈને મદદરૂપ થવાનો એનો સ્વભાવ છે. હાલ સોશિયલ મીડિયા પર એનો એક વીડિયો વાઈરલ થયો છે. એમાં તે કેદારનાથ મંદિરની યાત્રા પર દેખાય છે. તેનો આ વીડિયો જોઈને ઘણા નેટયૂઝર્સે તેની પ્રશંસા કરી છે.

આ વીડિયો સારાએ પોતાનાં અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. કેદારનાથ જાત્રા દરમિયાન તે ધ્યાન કરતી દેખાય છે, નદી કાંઠે બેસીને સમય વિતાવતી દેખાય છે, એક ઠેકાણે તે જમીન પર બેઠી છે, તો એકમાં તે ડુંગર ચઢતી દેખાય છે. નેટયૂઝર્સે આ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ વરસાવ્યો છે. એક યૂઝરે લખ્યું છે, ‘ભારતને આવા જ મુસ્લિમોની જરૂર છે.’ એક યૂઝરે આ વીડિયો જોઈને દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતને યાદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, સારા અને સુશાંતસિંહે ‘કેદારનાથ’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. સારા અગાઉ પણ કેદારનાથ ધામની યાત્રાએ આવી હતી. એ વખતે તેની સાથે સહ-અભિનેત્રી જ્હાન્વી કપૂર પણ હતી. ‘કેદારનાથ’ ફિલ્મનું શૂટિંગ કેદારનાથ ધામ વિસ્તારમાં જ ઉતારવામાં આવ્યું હતું. સારા તાજેતરમાં કશ્મીરમાં બાબા અમરનાથની પવિત્ર ગુફાની જાત્રાએ પણ ગઈ હતી.