રણવીર-આલિયાની ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નું રોમેન્ટિક ગીત રિલીઝ કરાયું

મુંબઈઃ આગામી નવી હિન્દી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના નિર્માતાઓએ આ ફિલ્મનું ગીત ‘તુમ ક્યા મિલે’ આજે રિલીઝ કર્યું છે. દિગ્દર્શક કરણ જોહરે એમના ઈન્સ્ટાગ્રામ પર આ ગીત શેર કરીને લખ્યું છે, ‘કોઈ પણ પ્રેમ વાર્તા યોગ્ય પ્રેમ ગીતને હકદાર હોય છે. મને એ વાતનો આનંદ છે કે ‘તુમ ક્યા મિલે’ ગીત અમારી વાર્તાને માટે જ બનેલું છે.’

આ ગીતમાં અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલે સ્વર આપ્યો છે. ગીત લખ્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને સંગીત છે પ્રિતમનું. ગીતમાં રણવીર અને આલિયાને કશ્મીરના બરફાચ્છાદિત પહાડો પર રોમાન્સ કરતાં જોવા મળે છે. આ સાથે કશ્મીરના બરફાચ્છાદિત પહાડોના નયનરમ્ય વાતાવરણમાં શિફોન સાડીઓ અને ડાન્સ કરતાં કલાકારોને ફરી જોવાનો દર્શકોને મોકો મળે છે. આ ગીત યૂટ્યૂબ અને સોશિયલ મિડિયાના અન્ય પ્લેટફોર્મ્સ પર રિલીઝ કરાયા બાદ ચાહકોએ એને ખૂબ પસંદ કર્યું છે અને કમેન્ટ વિભાગમાં લાલ રંગના દિલનાં ઈમોટિકોન્સ ડ્રોપ કરીને પ્રશંસાનાં ફૂલ વરસાવી દીધાં છે.

આ ફિલ્મમાં જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ ફિલ્મ આવતી 28 જુલાઈથી થિયેટરોમાં રિલીઝ થવાની છે.