રણબીર લગ્ન પછી ફરી કામે લાગી ગયો

મુંબઈઃ બોલીવુડ અભિનેતા રણબીર કપૂર સહ-કલાકાર આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યાના ત્રણ દિવસ બાદ ફરી કામ પર લાગી ગયો છે. આજે બપોરે એ મુંબઈમાં ટી-સિરીઝ કંપનીની ઓફિસમાં જતો દેખાયો હતો. એ વખતે ત્યાં હાજર પ્રેસ ફોટોગ્રાફરોએ એને તેમના કેમેરામાં ઝડપી લીધો હતો. રણબીરની તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ છે. ઘણા નેટયૂઝર્સે કામ પ્રત્યેની તેની નિષ્ઠાના વખાણ કર્યા છે.

રણબીર અને આલિયાએ ગઈ 14 એપ્રિલે મુંબઈમાં રણબીરના નવા નિવાસસ્થાન ‘વાસ્તુ’માં લગ્ન કર્યા હતા. એ વખતે બંનેના પરિવારજનો તથા અત્યંત નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં. જોકે એ માટે અમિતાભ બચ્ચન અને એમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું જ્યારે આલિયાને હાલમાં જ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ફિલ્મમાં ચમકાવનાર દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની ગેરહાજરી વર્તાતી હતી. રણબીર અને આલિયાએ ગઈ કાલે એમનાં મિત્રો તથા ફિલ્મી હસ્તીઓ માટે ‘વાસ્તુ’માં જ વિશેષ પાર્ટીનું આયોજન કર્યું હતું.