રાજકપૂરનો ચેંબૂર ખાતેનો બંગલો ગોદરેજ કંપનીએ ખરીદ્યો

મુંબઈઃ દિગ્ગજ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરનો અત્રે ચેંબૂર ઉપનગરમાં આવેલો બંગલો આજે વેચાઈ ગયો છે. ગોદરેજ ગ્રુપની ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ તે રૂ. 100 કરોડમાં ખરીદ્યો છે. કંપનીએ આ સોદાની જાણકારી મુંબઈ શેરબજારને આપી છે. ગોદરેજ પ્રોપર્ટીઝ જાણીતી રિયલ એસ્ટેટ ડેવલપર છે. હવે તે સ્ટુડિયોની જગ્યાએ લક્ઝરિયસ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવશે, જે દ્વારા તે રૂ. 500 કરોડની કમાણી કરવા ધારે છે.

આ જ ગોદરેજ પ્રોપર્ટીઝ કંપનીએ 2019માં ચેંબૂરમાં જ આવેલો કપૂર પરિવારની માલિકીનો આર.કે. ફિલ્મ સ્ટુડિયો પણ ખરીદ્યો હતો. હવે તેણે રાજ કપૂરનું નિવાસસ્થાન ખરીદ્યું છે. આ બંગલો ચેંબૂરમાં દેવનાર ફાર્મ રોડ પર ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સીસની બાજુમાં આવેલો છે. આ ચેંબૂરનો વૈભવશાળી નિવાસી વિસ્તાર ગણાય છે.

કંપનીના સીઈઓ ગૌરવ પાંડેએ જણાવ્યું છે કે અમે અમારા પોર્ટફોલિઓમાં ‘આરકેએસ’ વિકસિત યોજનાનો ઉમેરો કરવા બદલ ખૂબ આનંદનો અનુભવ કરીએ છીએ. અમને આ તક પૂરી પાડવા બદલ અમે કપૂર પરિવારના આભારી છીએ.

1988માં અવસાન થયું ત્યાં સુધી રાજ કપૂર ચેંબૂરના આ બંગલામાં રહેતા હતા. ત્યારબાદ એમના પત્ની ક્રિષ્ના 2018માં એમનું નિધન થયું ત્યાં સુધી આ બંગલામાં રહેતાં હતાં.