અભિનેત્રી, પર્યાવરણવિદ્દ ભૂમિ પેડણેકર બની સંપૂર્ણ શાકાહારી

મુંબઈઃ કોરોના રોગચાળાએ બધાની જીવનશૈલી બદલી દીધી છે. દરેક જણની જિંદગીમાં મોટાં પરિવર્તન આવ્યાં છે. આવું જ એક પરિવર્તન બોલીવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકરની જિંદગીમાં આવ્યું છે. આ પરિવર્તન કેવી રીતે આવ્યું એ ભૂમિએ જણાવ્યું હતું. આ લોકડાઉને ભૂમિની ભોજનને લઈને પસંદ-નાપસંદ સંપૂર્ણ રીતે બદલી નાખી છે.

ભૂમિ સતત પર્યાવરણ સુરક્ષા માટે કામ કરતી રહી છે અને એના વિશે તે કહે છે કે કોરોના રોગચાળા દરમ્યાન આ વિશે એને તમામ નવા વિચારો પર કામ કરવા પ્રેરિત કરી. પોતાની આસપાસની પ્રકૃતિને જાળવી રાખવા માટે હંમેશાં આગળ રહેતી ભૂમિ પેડણેકરે લાંબા સમયથી આ દિશામાં કામ કર્યું છે. તે ક્લાયમેટ વોરિયર્સની ટીમ બનાવવા પર કામ કરી રહી છે.

ભૂમિની નવી ફિલ્મ દુર્ગાવતી આવતા મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મની ચર્ચા દરમ્યાન એ જાણવા મળ્યું હતું કે ભૂમિ હવે શાકાહારી બની ગઈ છે અને એની ક્રેડિટ તે જળવાયુને લઈને સજાગતાવાળી પોતાના પ્રવાસને આપે છે, જેના લીધે તે પોતાના રૂટિનમાં આટલો મોટો નિર્ણય કરી શકી.

ભૂમિએ કહ્યું હતું કે કેટલાંય વર્ષોથી તે શાકાહારી બનવા ઇચ્છતી હતી. કોઈ પણ આદતને છોડવી સૌથી મુશ્કેલ છે. એ ક્લાયમેટ વોરિયરની સાથે મારો પ્રવાસ હતો, જેણે મને બહુબધી ચીજવસ્તુઓ શીખવાડી અને હવે મને માંસ (મીટ) ખાવાનું મન નથી થતું. તેણે કહ્યું હતું કે હું ક્યારેય નોન-વેજિટેરિયન ખાવા પર નિર્ભર નહોતી, પરંતુ મેં લોકડાઉન દરમ્યાન વિચાર્યું હતું કે હું મીટ ખાવાનું છોડી દઈશ. આ એટલું સારી રીતે થયું કે હવે છ મહિના થઈ ગયા અને મને સારું લાગી રહ્યું છે કે હું શારીરિક રીતે એટલી મજબૂત અને સ્વસ્થ અનુભવ કરી રહી છું, જેવું હું ઇચ્છતી હતી.