વિપક્ષી પાર્ટીઓને એક કરવાના પ્રયાસો તેજ

આગામી લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વિપક્ષી દળોને એક કરવાના પ્રયાસો તેજ કરી દીધા છે. નીતિશ કુમાર દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે પહોંચ્યા છે. જ્યાં મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, જેડીયુ પ્રમુખ લાલન સિંહ અને બિહાર સરકારના મંત્રી સંજય ઝા પણ હાજર છે.


પ્રાપ્ત માહિતી અનુસાર તેજસ્વી યાદવ નાદુરસ્ત તબિયતના કારણે બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. આ પહેલા શનિવારે કર્ણાટકમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં 18 વિપક્ષી પાર્ટીઓના નેતાઓ એક મંચ પર દેખાયા હતા અને વિપક્ષી એકતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, જેડીયુ પ્રમુખ લલન સિંહ, બિહારના નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.


વિપક્ષો એક થવાનો પ્રયાસ કરી રહ્યા છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને નીતિશ કુમાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક મહિનાઓથી વિપક્ષી એકતા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રયાસ હેઠળ ખડગેએ ઘણા વિપક્ષી નેતાઓ સાથે વાત કરી છે અને તેમને મળ્યા છે. બીજી તરફ નીતીશ કુમાર પણ ઘણા વિપક્ષી નેતાઓને મળ્યા છે અને તેમને એક સામાન્ય મંચ પર આવવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં બિહારની રાજધાની પટનામાં વિપક્ષના અગ્રણી નેતાઓની બેઠક યોજાઈ શકે છે.

રવિવારે સીએમ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી

નીતિશ કુમાર ગયા મહિને દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. ત્યારે તેમની સાથે તેજસ્વી યાદવ પણ હાજર હતા. આ સિવાય આગલા દિવસે એટલે કે રવિવારે (21 મે) નીતીશ કુમારે દિલ્હીમાં AAPના રાષ્ટ્રીય સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે તેમની મુલાકાત કરી હતી. નીતિશ કુમારે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં સારું કામ કરી રહ્યા છે અને આશ્ચર્યની વાત છે કે તેમની સરકારને કામ કરતા રોકવામાં આવી રહી છે. તેથી અમે કહી રહ્યા છીએ કે દેશના તમામ વિપક્ષી દળોએ સાથે આવવું જોઈએ.