‘ઝરૂખો ‘માં જાણીતા વૈજ્ઞાનિક ડૉ. જે. જે. રાવલનું વક્તવ્ય

મુંબઈ: બ્રહ્માંડના વિવિધ પાસાંનો જાણીતા વૈજ્ઞાનિક ડૉ‌.જે જે રાવલ ‘ઝરૂખો ‘નાં શ્રોતાઓને દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી પરિચય કરાવશે. વૈજ્ઞાનિક ડૉ.જે જે રાવલ મુંબઈમાં નહેરુ પ્લેનેટોરિયમના સર્વોચ્ચ પદે રહી ચૂક્યા છે અને હાલમાં ગુજરાતમાં ટૂંક સમયમાં બે પ્લેનેટરી સ્થાપી રહ્યા છે. તેઓ ઈન્ડિયન પ્લેનેટરી સોસાયટીના સ્થાપક છે. વિવિધ અખબારોમાં એમણે બ્રહ્માંડ વિશે લેખો પણ લખ્યા છે. હજારો લોકોને તેમણે ટેલિસ્કોપ દ્વારા આકાશ દર્શન કરાવ્યું છે.

આ બ્રહ્માંડ અદભૂત છે અને એનો તાગ મેળવવો ખરેખર કઠીન છે છતાં એને સમજવાના પ્રયાસો વૈજ્ઞાનિકોએ કર્યા છે. બ્રહ્માંડ બહુ માયાવી છે! તમે કયા પ્લેટફોર્મ પરથી એને જુઓ છો એ પ્રમાણે એ દ્રશ્યમાન થાય છે. કાળ જ બ્રહ્માંડને રચે છે અને ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે હું જ કાળ છું. આ ગહન વિધાન છે. ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં …આ શ્લોક બ્રહ્માંડનો જ પરિચય આપે છે.‘આપણું અદભૂત બ્રહ્માંડ’ કાર્યક્રમ ૩જી ઑગસ્ટ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે સાંઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાવાનો છે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે અને આ જાહેર કાર્યક્રમમાં કોઈપણ વ્યક્તિ હાજરી આપી શકશે. છેલ્લી દસેક મિનિટ શ્રોતાઓ વક્તાને પ્રશ્નો પૂછી શકશે.