10 વર્ષમાં 152 પેપર લીક અને 7.5 કરોડ ભવિષ્ય બરબાદ: રાહુલ ગાંધી

દેશમાં સતત વધી રહેલી પેપર લીકની ઘટનાઓ અને જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ પર સુરક્ષા દળો દ્વારા કરાયેલી બળજબરીના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજીને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે પોતાના હકની માગણી કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ સાથે ગુનેગારો જેવું વર્તન શા માટે કરવામાં આવી રહ્યું છે?

વિદ્યાર્થીઓ પર અત્યાચાર અને કથળેલી શિક્ષણ વ્યવસ્થા

રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે દેશના હજારો વિદ્યાર્થીઓ કોઈ અપરાધ નથી કરી રહ્યા, પરંતુ પોતાના ભવિષ્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમણે સુરક્ષા દળો દ્વારા વિદ્યાર્થીઓ પર હથિયારો તાકવા, તેમને મારવા અને અપમાનિત કરવાના અહેવાલો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓ એવી શિક્ષા પ્રણાલી ઈચ્છે છે જે નિષ્પક્ષ હોય અને યોગ્ય રીતે કામ કરે, પરંતુ આજની તારીખે દેશમાં એવી વ્યવસ્થા અસ્તિત્વમાં નથી.

10 વર્ષમાં 152 પેપર લીક અને 7.5 કરોડ યુવાનો પ્રભાવિત

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં 152 પેપર લીકની ગંભીર ઘટનાઓ બની છે, પરંતુ દુઃખની વાત એ છે કે એક પણ કેસમાં દોષિતોને સજા કે સજાની ખાતરી થઈ નથી. આ ગંભીર બેદરકારીને કારણે આશરે 7.5 કરોડ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોનું ભવિષ્ય અંધકારમય બન્યું છે. તેમણે કહ્યું કે આમાં મોટાભાગના મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારના બાળકો છે, જેઓ પોતાની મહેનતની કમાણી પરીક્ષા પાછળ ખર્ચે છે. પરીક્ષાના થોડા સમય પહેલાં જ પેપર લીક થવાના સમાચાર તેમના માનસિક તણાવ અને આત્મહત્યા જેવા પગલાંનું કારણ બને છે.

રાહુલ ગાંધીએ સરકાર સમક્ષ રજૂ કરી 3 મુખ્ય માગણીઓ

કોંગ્રેસ નેતાએ સ્પષ્ટ કર્યું કે તેઓ વિદ્યાર્થીઓની માગણીઓ સાથે 1000 ટકા સહમત છે અને તેમણે સરકાર સમક્ષ 3 મુખ્ય શરતો રજૂ કરી છે:

શિક્ષણ મંત્રીનું રાજીનામું: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તુરંત પોતાના પદ પરથી રાજીનામું આપે કારણ કે તેઓ નિષ્ફળ નિવડ્યા છે.

દોષિતો સામે સખત કાર્યવાહી: જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરનારા તમામ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

PM મોદી માફી માંગે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોની સત્તાવાર માફી માંગવી જોઈએ.

તેમણે અંતમાં ઉમેર્યું કે દેશની શિક્ષણ વ્યવસ્થા ભારતની સૌથી મોટી શક્તિઓમાંથી એક છે, પરંતુ પેપર લીક જેવી માફિયાગીરી દેશના યુવાનોના ભવિષ્યને બરબાદ કરી રહી છે, તેથી સરકારે પોતાની જવાબદારી સ્વીકારવી જ પડશે.