ધનંજય મુંડેએ મંત્રી પદ છોડ્યું, CM ફડણવીસને રાજીનામું સોંપ્યું

મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેએ મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં વાલ્મિક કરાડને આરોપી બનાવ્યા બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંડેને મંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહ્યું હતું. રાજીનામાના સમાચાર આવ્યા પછી ફડણવીસે કહ્યું કે મુંડેએ મને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. મેં તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને આગળની કાર્યવાહી માટે રાજ્યપાલને મોકલી આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સોમવારે રાત્રે ફડણવીસને મળ્યા હતા અને દેશમુખ હત્યા કેસ અને અન્ય બે સંબંધિત કેસોમાં ગુના તપાસ વિભાગ (CID) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટના પરિણામ અંગે ચર્ચા કરી હતી જેમાં કરાડને આરોપી નંબર વન બનાવવામાં આવ્યા છે.

શું મામલો છે?
બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ગયા વર્ષે 9 ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તેમણે જિલ્લામાં એક વીજ કંપનીને નિશાન બનાવીને ખંડણીના પ્રયાસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેને ત્રાસ આપવામાં આવ્યો અને બાદમાં તેની હત્યા કરવામાં આવી.

27 ફેબ્રુઆરીના રોજ 1200 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી
રાજ્યના ગુના તપાસ વિભાગ (CID) એ 27 ફેબ્રુઆરીએ દેશમુખની હત્યા અને બે સંબંધિત કેસોમાં બીડ જિલ્લા કોર્ટમાં 1,200 પાનાથી વધુની ચાર્જશીટ દાખલ કરી હતી. બીડના કેજ પોલીસ સ્ટેશનમાં સરપંચની હત્યા, અવડા કંપની પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ અને કંપનીના સુરક્ષા ગાર્ડ પર હુમલાના ત્રણ અલગ-અલગ કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે
પોલીસે આરોપીઓ વિરુદ્ધ કડક મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ કેસ નોંધ્યો છે. અત્યાર સુધીમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે અને MCOCA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. એક આરોપી હજુ પણ ફરાર છે.