CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આણંદ કૃષિ યિનિવર્સિટીથી શરૂ કરવામાં આવેલા પ્રારંભ દરમિયાન તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેક્નોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડિશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલીત પ્રયાસો સાથે એકીકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે.
ખરીફ સીઝનના પ્રારંભ પહેલા ખેડૂતો તમામ જરૂરી આયોજન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે તારીખ 29 મે થી 12 જૂન સુધી રાષ્ટ્રવ્યાપી ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’ શરૂ કર્યું છે.
આજે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી ગુજરાતમાં આ અભિયાનનો શુભારંભ કરાવ્યો.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં કુલ… pic.twitter.com/FLsENuF35t
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 29, 2025
ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત 235 તાલુકાઓના 2951 ક્લસ્ટર થકી 3.50 લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન રાજ્યના 30 કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમ જ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરાશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ 9 જિલ્લાઓના 793 ગામોના અંદાજે 01 લાખ 2 હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 7 જિલ્લાના 465 ગામોના 80 હજાર ખેડૂતો, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના 10 જિલ્લાના 933 ગામોના 1.20 લાખ ખેડૂત અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના 7 જિલ્લામાં 760 ગામોના 71 હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.
