દેશની સંરક્ષણ નિકાસમાં એક દાયકામાં 34 ગણો રેકોર્ડ વધારો

નવી દિલ્હીઃ ભારતે સંરક્ષણ ઉત્પાદન અને નિકાસમાં લાંબી છલાંગ ભરી છે. દેશની સંરક્ષણ નિકાસ અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. સંરક્ષણ નિકાસ વિશે માહિતી આપતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે ગયા એક દાયકામાં નિકાસમાં ૩૪ ગણો વધારો થયો છે.

સોશિયલ મિડિયા X પર પોતાના ટ્વીટમાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતે રૂ. ૨૩,૬૨૨ કરોડના સંરક્ષણ ઉત્પાદનોની નિકાસ કરી છે. એક દાયકામાં તેમાં ૩૪ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતની સંરક્ષણ નિકાસ રૂ. ૬૮૬ કરોડ હતી.

આ વૃદ્ધિ પાછળ ‘આત્મનિર્ભરતા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’
સંરક્ષણ નિકાસમાં થયેલી શાનદાર વૃદ્ધિ અંગે સંરક્ષણ મંત્રીના કાર્યાલયનું કહેવું છે કે આ સફળતાની પાછળ દેશમાં સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાની ભાવના છે. મંત્રાલયનું કહેવું છે કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ કાર્યક્રમો અંતર્ગત સંરક્ષણ ક્ષેત્રે ભારતે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેમાં ઉત્પાદનને લગતા પ્રોત્સાહનનો પણ સમાવિષ્ટ છે. તેનો હેતુ વૈશ્વિક બજારમાં ભારતીય સંરક્ષણ ઉત્પાદનોને વધુ સ્પર્ધાત્મક બનાવવો, નિકાસમાં વધારો કરવો, વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે ભારતને જોડવું અને આયાત પરની નિર્ભરતા ઘટાડવી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પર સરકારે જે રીતે ભાર મૂક્યો છે, તેની અસર હેઠળ સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. સંરક્ષણ ઉત્પાદન વધતા મોટી સંરક્ષણ ઉત્પાદન કંપનીઓમાં વિદેશી રોકાણ આવ્યું છે. માત્ર એટલું જ નહીં, સરકારે સંરક્ષણ અને એરોસ્ટેસ મેન્યુફેક્ચરિંગમાં પણ ઘણું મૂડીરોકાણ કર્યું છે. જેને પરિણામે વિશ્વની જાણીતી કંપનીઓ પણ જટિલ સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજી શેર કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. નાણાં મંત્રાલયના ડેટા અનુસાર આ નાણાકીય વર્ષમાં ગોળા-બારુદ, હથિયારો, સબ સિસ્ટમ્સ/સિસ્ટમ્સ સહિત અનેક સંરક્ષણ સાધનો આશરે ૮૦ દેશોમાં નિકાસ કરવામાં આવ્યાં છે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં સંરક્ષણ નિકાસને પ્રતિ વર્ષ રૂ. ૫૦,૦૦૦ કરોડ સુધી લઈ જવામાં આવે.