શહેરમાં સિટી બસચાલકે કાબૂ ગુમાવ્યોઃ ચારનાં મોત

રાજકોટઃ રાજકોટના પોશ એરિયા એવા ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે છથી સાત લોકોને હડફેટે લેતાં ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મોત થયાં છે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

સવારે 9.30 કલાકની આસપાસ લોકો નોકરી-ધંધા ઉપર જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ કોર્પોરેશનની સિટી બસે હિટ એન્ડ રનની ઘટનામાં ડ્રાઈવરે કાબૂ ગુમાવતાં આગળ જતાં ચારથી પાંચ વાહનચાલકોને જોરદાર ટકકર મારતાં ઘટનાસ્થળે જ ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. ઉશ્કેરાયેલા લોકોએ સિટી બસના કાચ ફોડ્યા હતા. ભીડને કાબૂમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે. આ ઘટનાના ચોંકાવનારા cctv કેમેરા બહાર આવ્યા છે. લોકોમાં ભારે રોષ વચ્ચે પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સિટી બસના ચાલકો બેફામ ડ્રાઇવ કરી રહ્યા હોવાની ફરિયાદો તંત્રને કરવામાં આવી હોવા છતાં મહાપાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં નહી લેવામાં આવતાં મહાપાલિકા અને ટ્રાફિક શાખાની બેદરકારીએ ચાર લોકોની જિંદગી છીનવી લેતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.

ઇન્દીરા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર GJ-03 BZ 0048 થી જે દુર્ઘટના બની છે તેમાં ચાર લોકોના મૃત્યુ નીપજેલ છે, આ અકસ્માતમાં રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા (ઉંમર વર્ષ-૩૫), સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી (ઉંમર વર્ષ-૪૦), બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ (ઉંમર વર્ષ-૨૫), કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ (ઉંમર વર્ષ-૫૬) મૃત્યું થયું છે. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં વિશાલ રાજેશભાઈ મકવાણા (ઉંમર વર્ષ-૨૮), સુરજ ધર્મેશ (ઉંમર વર્ષ-૪૨), સાનિયાબેન અજયભાઈ રાજબર (ઉંમર વર્ષ-૧૭), વિરાજબા મહાવીરસિંહ ખાચર (ઉંમર વર્ષ-૦૭) નો સમાવેશ થાય છે.

આ દુર્ધટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે.

વિશેષમાં, મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ વધુમાં કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પંદર-પંદર લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને બે-બે લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. સાથોસાથ 3rd પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)
(તસવીર , નિશુ કાચા)