ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું વેટિકનમાં નિધન

નવી દિલ્હીઃ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું નિધન થયું છે. તેઓ 88 વર્ષ હતા. તેમણે તેમના નિવાસસ્થાન કાસા સાન્ટા માર્ટા, વેટિકનમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ ઘણા સમયથી બીમાર હતા.  વેટિકનમાં તેમના નિધનને પગલે નવ દિવસનો શોક જાહેર કર્યો છે.

પોપ ફ્રાન્સિસ લગભગ એક મહિનાની હોસ્પિટલમાં સારવાર પછી 24 માર્ચે તેમના નિવાસસ્થાન, કાસા સાન્ટા માર્ટા પરત ફર્યા. હોસ્પિટલથી પરત ફરતી વખતે તેમણે હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં ઉમટેલા લોકોને આશીર્વાદ આપ્યા હતા. પોપને જાહેરમાં જોઈને લોકો ખૂબ જ ખુશ દેખાતા હતા અને હર્ષોલ્લાસ પણ કર્યો હતો.પોપ ફ્રાન્સિસને 14 ફેબ્રુઆરીએ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ડબલ ન્યુમોનિયા થયો હતો. હોસ્પિટલમાં ડોકટરોની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી.

જ્યારે પોપ ફ્રાન્સિસ યુવાન હતા, ત્યારે તેમના એક ફેફસાંને ચેપને લાગ્યો હતો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. 2023માં પણ તેમને ફેફસાંના ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.  પોપ પાસે કુલ 16 મિલિયન ડોલરની નેટવર્થ હતી. પોપ ફ્રાન્સિસ ભારતની મુલાકાતે આવવાના હતા. ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયને કહ્યું હતું કે પોપ ફ્રાન્સિસ 2025 પછી ભારતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. કેથોલિક ચર્ચે 2025ને જ્યુબિલી વર્ષ તરીકે જાહેર કર્યું છે. ભારતે પહેલેથી જ પોપ ફ્રાન્સિસને સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને સીધું આમંત્રણ આપ્યું છે. પોપની તબિયત અને સગવડતા અનુસાર આ સફર નક્કી થવાની હતી. વડા પ્રધાન મોદીએ પણ પોપના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.