જલદી જ જાહેર થશે 200 અને 500 રુપિયાની નોટ, RBI એ આપી માહિતી

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા જલદી જ 200 અને 500 રુપિયાની નવી નોટ જાહેર કરવા જઈ રહી છે. કેન્દ્રીય બેંકે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. 200 અને 500 ની નવી નોટોને મહાત્મા ગાંધી સીરીઝ અંતર્ગત લોન્ચ કરવામાં આવશે જે જૂની નોટોથી અલગ હશે. આમાં અલગ એ હશે કે જુની 200 અને 500 ની નોટો પર આરબીઆઈના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર હતા પરંતુ હવે નવી નોટો પર વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે. આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે નવી નોટો આવવાથી જૂની નોટો પર કોઈ અસર નહી પડે અને જુની નોટો પણ ચલણમાં રહેશે જ.

આરબીઆઈએ એપણ સ્પષ્ટ કર્યું છે કે નવી નોટોની ડિઝાઈનમાં પણ કોઈપણ પ્રકારનો બદલાવ નહી કરવામાં આવે. પરંતુ આ નોટોની ડિઝાઈન મહાત્મા ગાંધીની સીરીઝમાં જાહેર પહેલાની તમામ નોટોની જેવી જ હશે. આ સિવાય ફીચર્સમાં પણ કોઈ ખાસ બદલાવ નહીં કરવામાં આવે.

આરબીઆઈએ તાજેતરમાં જ 100 રુપિયાની નવી નોટ પણ જાહેર કરી હતી. આ 100 રુપિયાની નોટ પર પણ નવા ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષરને અંકિત કરવામાં આવ્યા હતા. જો કે નવી નોટ આવ્યા બાદ પણ જૂની નોટને સિસ્ટમમાંથી હટાવવામાં નથી આવી. મહત્મા ગાંધી સીરીઝની તમામ નોટ ચલણમાં છે.