પેટ્રોલ પંપમાલિકોનું કમિશન હાલતુરંત નહીં વધારાય

નવી દિલ્હીઃ ઓટો-ઈંધણના ભાવ વધી ગયા છે ત્યારે દેશભરમાં પેટ્રોલ પંપ ડીલર્સ માગણી કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર એમના કમિશનની રકમમાં વધારો કરે, પરંતુ સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ નજીકના ભવિષ્યમાં કમિશન વધારે એવી કોઈ શક્યતા નથી. કમિશન વધારવાની માગણીના ટેકામાં ગઈ કાલે 24 રાજ્યોમાં પેટ્રોલ પંપમાલિકોએ સરકારી કંપનીઓ પાસેથી એક દિવસ માટે ઈંધણ ન ખરીદવાનું આંદોલન કર્યું હતું.

વરિષ્ઠ અધિકારીઓનું કહેવું છે કે પેટ્રોલ પંપમાલિકોને કમિશન વધારવાનો મુદ્દો હાલ કોર્ટમાં છે તેથી હાલને તબક્કે તો સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કમિશનની રકમ વધારે એવી કોઈ શક્યતા નથી. વધુમાં, માર્કેટિંગ કંપનીઓએ 2017માં પેટ્રોલ પંપમાલિકો માટે ગાઈડલાઈન્સ જાહેર કરી હતી તે છતાં ડીલરોએ છેલ્લે જ્યારે એમના કમિશનમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે એમને મળેલો લાભ કર્મચારીઓને આપ્યો નહોતો. 2017માં, ડીલરોનું માર્જિન વધારીને આશરે 55 ટકા કરવામાં આવ્યું હતું. ગાઈડલાઈન્સ એવી છે કે જો પેટ્રોલપંપ ડિલરો એમના કર્મચારીઓને લઘુત્તમ વેતન કરતાં વધારે પૈસા નહીં ચૂકવે તો ડિલરોને મોટી પેનલ્ટી ફટકારવામાં આવશે. કમિશન વધારવામાં આવે એ માટે પેટ્રોલ પંપમાલિકોના એસોસિએશન કોર્ટમાં ગયું છે. દિલ્હી હાઈકોર્ટે આ બાબતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓની તરફેણમાં ચુકાદો આપતાં પેટ્રોલ પંપમાલિકોએ તેને ગયા મહિને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.