અનેક દેશોને રોટી ખવડાવતું ભારતઃ ઘઉંની નિકાસમાં વધારો

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષે એપ્રિલ-નવેમ્બરમાં ઘઉંની નિકાસ 29.29 ટકા વધીને 1.50 અબજ ડોલરે પહોંચી હતી, જે ગયા વર્ષે સમાન ગાળામાં 1.17 અબજ ડોલર હતી, એમ વેપાર મંત્રાલયે શુક્રવારે માહિતી આપી હતી. જોકે સરકારે મેમાં ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, પણ વિનંતી કરવાવાળા દેશોને ખાદ્ય સુરક્ષા જરૂરતોને પૂરી કરવા થોડી નિકાસ કરવાની મંજૂરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બાસમતી ચોખાની નિકાસ એપ્રિલ-નવેમ્બર 2022માં 39.26 ટકા વધીને 2.87 અબજ ડોલર થઈ ગઈ છે, જ્યારે એ સમયગાળામાં બિનબાસમતી ચોખાની નિકાસ પાંચ ટકાની વધીને 4.2 અબજ ડોલર રહી છે.

ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનામાં ઘઉંની નિકાસ 29.29 ટકા વધીને 150.08 કરોડ ડોલર થઈ હતી, જે એપ્રિલ-નવેમ્બર, 2021માં 116.6 કરોડ ડોલર રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનાઓમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટની નિકાસ 16 ટકા વધીને 17.43 અબજ ડોલર થઈ ગઈ છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે વર્ષ 2022-23માં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ માટે 23.56 અબજ ડોલરની નિકાસનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને ચાલુ નાણાકીય વર્ષના આઠ મહિનાઓમાં 17.435 અબજ ડોલરની નિકાસ પહેલેથી હાંસલ થઈ ચૂકી છે.